તહેવારોનાં ઉત્સાહમાં લોકો કોરોનાને ભૂલી ગયા. પણ કોરોના એટલી ઝડપથી ભુલાય તેમ નથી. ગુજરાતમાં ફરી એકવાર મોટા શહેરોમાં કોરોના વિસ્ફોટ થયો છે. અને હવે તો સકરારે પણ સ્વીકારી લીધું છે કે અમદાવાદમાં કોરોના વકર્યો છે. ત્યારે ડોક્ટર્સ કહી રહ્યાં છે કે ગુજરાતમાં કોરોનાનો બીજો તબક્કો શરૂ થઇ ચૂક્યો છે. અને બીજી તરફ સરકાર શાળાઓ ખોલવા તૈયારી કરી રહી છે. વાલીઓ અને વિદ્યાર્થીઓ તો ના જ પાડી રહ્યાં છે કે શાળા ખુલશે તો પણ ખાલી જ રહેશે
ગુજરાતમાં જાણે કે દિવાળીનાં તહેવારો પછી કોરોના વિસ્ફોટ થયો છે. કોરોના કેસ સતત વધી રહ્યાં છે. અને બીજી તરફ સરકારે જાહેરાત કરી છે કે 23 નવેમ્બરથી એટલે કે પાંચ દિવસ પછી રાજ્યમાં શાળાઓ ખુલશે. કોરોનાની સ્થિતિ જોતા શું અત્યારે શાળાઓ ખોલવી જોઇએ? વિદ્યાર્થીઓ સંક્રમિત થશે તો જવાબદારી કોણ લેશે..? શું શાળાઓ સંક્રમણ વધારવામાં ભાગ નહીં ભજવે? જ્યાં શાળાઓ ખુલી છે ત્યાંની સ્થિતિની સમીક્ષા સરકારે કરી છે? બાળકોનાં જીવ જોખમમાં કઇ રીતે મૂકી શકે સરકાર? ડોક્ટર્સ પણ કહી રહ્યાં છે કે ધોરણ 9 થી 12ની શાળાઓ પણ અત્યારે તો ન જ ખોલવી જોઇએ.
સરકાર ભલે શાળા ખોલવાની વાત કરે. પણ વાલીઓ તો દિવાળી પહેલાં જ કહેતા હતા કે, અમે બાળકોને શાળાએ નહીં મોકલીએ. ત્યારે તો કોરોનાનાં કેસ પણ ઘટ્યા હતા. હવે કેસ વધ્યા છે ત્યારે વાલીઓ અને વિદ્યાર્થીઓ સ્પષ્ટપણે ના પાડી રહ્યાં છે કે શાળાઓ ખુલશે તો પણ કોઇ જોખમ નહીં ખેડીએ.
સરકાર શાળા ખોલવા માટે અન્ય રાજ્યોનો હવાલો આપે છે. પણ એ ભૂલી જાય છે કે જ્યાં જ્યાં શાળાઓ ખુલી છે ત્યાં પણ સ્થિતિ સારી નથી. હરિયાણામાં 2 નવેમ્બરથી શાળાઓ ખુલી છે. અને અહીં અત્યાર સુધીમાં 149 બાળકો અને 12 ટીચર્સ કોરોના સંક્રમિત થયા છે. છેલ્લા 15 દિવસમાં માત્ર રેવાડીમાં જ 13 શાળાનાં 103 બાળકો સંક્રમિત થયા છે. મંગળવારે એક જ દિવસમાં 38 બાળકો પોઝિટિવ આવ્યા છે. આ સ્થિતિ માત્ર હરિયાણાની જ છે એવું નથી. ઉત્તરાખંડમાં શાળાઓ ખોલ્યા બાદ 80 શિક્ષક કોરોના પોઝિટિવ આવતાં 5 દિવસ બાદ જ 84 શાળાઓ બંધ કરવાનો નિર્ણય કર્યો. હિમાચલ પ્રદેસમાં પણ 87 વિદ્યાર્થીઓ અને 215 શિક્ષકો કોરોના પોઝિટિવ આવતા 11થી 25 નવેમ્બર સુધી શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો. આંધ્રપ્રદેશમાં 2 નવેમ્બરે શાળાઓ ખુલી અને 3 દિવસમાં 262 બાળકો, 160 શિક્ષકો કોરોના સંક્રમિત આવ્યા.
