
*મોરબીમાં શ્રમિકોના સ્વાસ્થ્યની રક્ષા માટે ‘ધનવંતરી આરોગ્ય રથ’ને કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું*
*બાંધકામ શ્રમિકોને ઘરઆંગણે મળશે નિઃશુલ્ક તબીબી તપાસ અને દવાઓની સુવિધા*
*મોરબી, તા. ૧૬ માર્ચ,*
મોરબી જિલ્લાના બાંધકામ શ્રમયોગીઓના કલ્યાણ અને સ્વાસ્થ્ય રક્ષા માટે રાજ્ય સરકારના ‘ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ’ દ્વારા નવીન ‘ધનવંતરી આરોગ્ય રથ’ ફાળવવામાં આવ્યો છે. મોરબી જિલ્લા સેવા સદન કલેક્ટર કચેરી ખાતેથી જિલ્લા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીના હસ્તે આ આરોગ્ય રથનું વિધિવત પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોરબી જિલ્લા પોલીસ વડાશ્રી મુકેશ પટેલ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી નવલદાન ગઢવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ રથના માધ્યમથી જિલ્લાના વિવિધ બાંધકામ સાઇટ પર કાર્યરત શ્રમિકોને નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ અને દવાઓનો લાભ પૂરો પાડવામાં આવશે. શ્રમિકો એ રાષ્ટ્રના નિર્માણના પાયામાં છે ત્યારે તેમના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. મોરબીમાં આ ધનવંતરી રથ દ્વારા શ્રમિકોના કામના સ્થળે જઈને આરોગ્યની તપાસ કરવામાં આવશે, જેથી તેમના સમય અને નાણાંની બચત થશે. આ નવીન સુવિધા શરૂ થવાથી મોરબી જિલ્લાના હજારો બાંધકામ શ્રમિકોને આરોગ્યપ્રદ જીવનશૈલી પ્રાપ્ત કરવામાં મોટી મદદ મળશે.
આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. પી.વી. શ્રીવાસ્ત, મોરબી જિલ્લા નિરીક્ષકશ્રી મિતેશ જોષી, જિલ્લા પ્રોજેક્ટ મેનેજર હરેશભાઇ પરમાર, ધનવંતરી રથના પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર જગદીશભાઈ તેમજ રથનો તબીબી સ્ટાફ અને બાંધકામ બોર્ડના જિલ્લા કચેરીના કર્મચારીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.

