108 માં 5 વાગ્યે લાવવામાં આવ્યા બાદ 07:30 સુધી કેસ હાથમાં ન લીધો
હોબોળા બાદ તપાસનો આદેશ આપતા સિવિલ અધિક્ષક
મોરબી : કોરોના હાહાકાર વચ્ચે મોરબી સિવિલ હોસ્પિટલના તબીબની ઘોર બેદરકારી સામે આવી છે. 108 મારફતે ટંકારાથી મોરબી લવાયેલ કોરોના દર્દીને સતત અઢી કલાક સુધી ટ્રીટમેન્ટ આપવાને બદલે તબીબ મોબાઈલ રમવામાં વ્યસ્ત બનતા આ દર્દીએ દમ તોડ્યો હોવાનો આરોપ લગાવી પરિવારજનોએ હોબાળો મચાવતા આ મામલે મોરબી સિવિલના ઇન્ચાર્જ અધિક્ષક અને આરએમઓએ તપાસનો આદેશ પણ કર્યો છે.
ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા મોચી બજારમાં રહેતા ચંદુભાઈ નટવરલાલ રાઠોડ (ઉ.50) નામના કોરોના દર્દીની તબિયત લથડતા તેમને 108 મારફતે મોરબી સિવિલ હોસ્પિટલમાં આજે સાંજે 5 વાગ્યે લાવવામાં આવ્યા હતા. પરંતુ ફરજ પરના ડોકટરે સારવાર તો ઠીક તેમને જોવાની પણ તસ્દી ન લેતા ચંદુભાઈએ 7:30 વાગ્યાના અરસામાં દમ તોડી દીધો હતો.
મૃતક ચંદુભાઈ રાઠોડના પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે મોરબી સિવિલમાં લાવ્યા બાદ સાંજે 5 વાગ્યાથી ફરજ ઉપર હાજર ડો.હર્ષ કેલા નામના તબીબને વારંવાર સારવાર માટે જણાવાયું હતું. પરંતુ તેઓ મોબાઈલ રમવામાં વ્યસ્ત રહેતા ચંદુભાઈએ દમ તોડી દીધો હતો.દર્દીના મોતની ઘટનાને પગલે પરિવારજનો દ્વારા હોસ્પિટલમાં હોબાળો મચવવામાં આવ્યો હતો.
બીજી તરફ ઘટના મામલે સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ અધિક્ષક અને આરએમઓ સરડવાને ફરિયાદ કરાતા તાકીદે પગલાં ભરવાની ખાતરી આપવાની સાથે જેમના ઉપર આરોપ લાગ્યો છે એ તબીબને હવેથી ઇમરજન્સીમાં ફરજ નહિ સોંપવામાં આવે તેમ જણાવી ઘટનાની તપાસ માટે પણ આશ્વાસન આપ્યું હતું. આ ગંભીર ઘટનામાં પોલીસ ફરિયાદ માટે પણ તજવીજ ચાલુ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આ બાબતે સિવિલના તબીબ ડો.હર્ષ કેલાએ જણાવ્યું હતું કે અમારી જવાબદારી સિવિલ હોસ્પિટલની અંદર હોય છે છતાં આ કિસ્સામાં નર્સ દ્વારા પેશન્ટનો ઇસીજી પણ કાઢવામાં આવ્યો હતો પરંતુ દર્દીના પરિજનો દ્વારા તાત્કાલિક અંદર દાખલ કરવા પ્રેસર કરવામાં આવ્યું હતું.
