મોરબીના રાજપર ગામે રાજવીકાળ દરમ્યાન બનેલા એરપોર્ટની જગ્યાએ નવું એરપોર્ટ બનાવવાની વર્ષ 2013માં સરકાર તરફથી લીલી ઝંડી મળી ગઈ હતી. પરંતુ બે સંકલનના અભાવે આ કામ હજી સુધી અધ્ધરતાલ હતું. વર્ષોથી એરપોર્ટ સાકાર થવાના સ્વપ્ન જોતા મોરબીવાસીઓ માટે હવે સારા સમાચાર આવી ગયા છે. હવે દોઢ વર્ષમાં મોરબીવાસીઓને હવાઈમથક મળી જશે. રાજપર ગામે ઉડ્ડયન વિભાગે આ માટે મુલાકાત લીધી છે અને ટૂંક સમયમાં ડીઆઈએલઆર અને ડીમાર્કેશનની કાર્યવાહી હાથ ધરાશે.
મોરબીવાસીઓની એરપોર્ટ બનાવવાની વર્ષો જૂની અપેક્ષા હવે સાકાર થવામાં છે. હવે બસ એક કે દોઢ વર્ષે મોરબીવાસીઓને એરપોર્ટ મળે તેવી ઉજળી સંભાવનાઓ હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. કારણ કે ઉડ્ડયન વિભાગની ટીમે રાજપર ગામે સ્થળ વિઝીટ લઈને એરપોર્ટની જમીનનો કબજો મેળવી લીધો છે.
મોરબીના રાજપર ગામે એરપોર્ટ બનાવવાની ગતિવિધિ તેજ બની છે. ઉડ્ડયન વિભાગના સુપ્રીટેન્ડેન્ટ ઈજનેર રાયજાદા અને જમીન સંપાદન અધિકારી સમીર બૂંદેલાએ ગઈકાલે રાજપર ગામે એરપોર્ટની જગ્યાની મુલાકાત લીધી હતી અને સ્થાનિક તંત્ર પાસેથી જમીનનો કબજો મેળવ્યો હતો. આ દરમિયાન માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર હિતેશભાઈ આદ્રોજા અને તાલુકા પંચાયત સદસ્ય વિજયભાઈ કોટડીયા પણ ઉપસ્થિત રહ્યા હતા. તેવી માહિતી એરપોર્ટની સરકારમાં લેખિત માંગણી કરનાર વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી હસુભાઈ ગઢવીએ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે હવે ટૂંક સમયમાં ડીઆઈએલઆર અને ડીમાર્કેશનની કાર્યવાહી હાથ ધરાશે. હાલ એરપોર્ટ માટે રૂ. 40 કરોડ ફળવવામાં આવ્યા છે. જેમાંથીત્યાં કમ્પાઉન્ડ વોલ, રનવે અને બિલ્ડીંગ બનાવવામાં આવનાર છે. અહીં દોઢ કિમિ લાંબો રનવે બનાવવામાં આવશે. એરપોર્ટનું કામ એક કે દોઢ વર્ષમાં પૂર્ણ થઈ જાય તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

