
પવિત્ર શ્રાવણ માસમાં પૂજ્ય જલારામ બાપાના ભજનમાં ડીસાના વાલ્મીકિ સમાજનો અભૂતપૂર્વ ઉત્સાહ
પવિત્ર શ્રાવણ માસમાં ચાર ગુરૂવાર માટે પૂજ્ય જલારામ બાપાનાં ભજન વાલ્મીકિ સમાજમાં કરવાના જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસાના પ્રેરણાદાયી નિર્ણયને અકલ્પનીય પ્રતિસાદ મળ્યો છે.ડીસાના સમગ્ર વાલ્મીકિ સમાજમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે.
ગત ગુરુવારે વાલ્મીકિ સમાજના અગ્રણી ચેતનભાઈ ઈશ્વરભાઈ સોલંકી પરિવારના નિવાસસ્થાને પૂજ્ય જલારામ બાપાના ભજનમાં ખૂબ સારી સંખ્યામાં હરિભક્તો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ભજનની રમઝટ જામી હતી.તમામ ગાયક ભાઈઓ બહેનોએ પૂજ્ય જલારામ બાપાના જીવનકવનને અનુલક્ષીને જ ભજનો ગાતાં સૌએ અત્યંત રાજીપો વ્યક્ત કર્યો હતો.
ભજન સંચાલક ભગવાનભાઈ બંધુએ ગૌસેવા હેતુ અપીલ કરતાં અંદાજે રૂપિયા 27500 સત્તાવીસ હજાર પાંચસોની રકમ એકત્રિત થઈ હતી.યજમાન પરિવાર ચેતનભાઈ ઈશ્વરભાઈ સોલંકી પરિવારનું પૂજ્ય જલારામ બાપાના સ્મૃતિચિન્હથી વાજતેગાજતે ભવ્યાતિભવ્ય દિવ્યાતિદિવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.આગામી ગુરૂવારે પૂજ્ય જલારામ બાપાનાં ભજન મનુભાઈ ધર્માભાઈ મકવાણા પરિવારના નિવાસસ્થાને હોઈ એમણે સૌને ભાવપૂર્વક નિમંત્રણ આપ્યું હતું.
