
મોરબી તા ૧૧ : મોરબી ના રવાપર ખાતે વર્ષો વર્ષની જેમ આ વર્ષે પણ રામેશ્વર ફાર્મ ખાતે ભવ્યાતિ ભવ્ય રીતે પાટીદાર નવરાત્રીનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ વખતે એક નવો નિયમ અપડેટ કરવામાં આવ્યો છે. દરેક ખેલૈયાઓને કપાળે તિલક કરીને જ આ નવરાત્રીમાં એન્ટ્રી આપવામાં આવશે.
મોરબી ના રવાપર ધૂનડા રોડ પર આવેલ રામેશ્વર ફાર્મ ખાતે પાટીદાર નવરાત્રીના આયોજન અંગે પ્રેસ્કોનફ્રરન્સ યોજી અજયભાઈ લોરિયાએ જણાવ્યું હતુ કે આ સમગ્ર આયોજન શહીદ પરિવાર અને માધવ ગૌ શાળાના લાભાર્થે કરવામાં આવ્યું છે. અહીં એકવીસ જેટલા વીર શહીદ જવાનોના પરિવારજનોને લઈ આવવામાં આવશે. તેમનો આવવા જવાનો ખર્ચ પણ આ નવરાત્રી મહોત્સવ દ્વારા ઉઠાવવામાં આવશે. ઉપરાંત દરેક પરીવારજનોને રૂપિયા એક લાખની સહાય પણ આપવામાં આવશે. જ્યારે બાકીનું ફંડ ગૌ શાળાના લાભાર્થે ખર્ચવામાં આવશે.
વધુ વિગતો આપતા લોરિયા એ જણાવ્યું હતું કે હાલ હાર્ટ એટેકના બનાવો ખૂબજ પ્રમાણ માં વધી રહ્યા છે. ત્યારે તેની આગમચેતી ના ભાગરૂપે ખેલૈયાઓ માટે એમ્બ્યુલન્સ અને મેડિકલ ટિમ તૈનાત રાખવામાં આવશે. ઉપરાંત તેઓએ કહ્યું કે આ નવરાત્રી મહોત્સવ ૧૫ મીથી શરૂ થવાનો છે. તે પહેલા ૧૪ મીએ પ્રિ નવરાત્રી યોજાશે.
આ નવરાત્રી મહોત્સવમાં એન્ટ્રી ગેટ ઉપર દીકરીઓના હસ્તે તમામ ખેલૈયાઓના કપાળે તિલક કરી આપવામાં આવશે. તિલક વગર કોઈ ખેલૈયાઓને એન્ટ્રી આપવામાં આવશે નહિ. વધુમાં તેઓએ ઉમેર્યુ કે અહીં બાળકો માટે ગેમઝોન પણ છે. જે નિઃશુલ્ક રહેશે.
