
મોરબી તાલુકાનું રામપર ગામ સંપૂર્ણપણે રામભરોસે
વહીવટીતંત્રના બેરા કાનને રામપરની વ્યથા સંભળાતી નથી
———————————-
સમગ્ર ભારત દેશમાં માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ચારે બાજુ વિકાસ,વિકાસ અને વિકાસની વાતો તેમજ કામો ચાલે છે ત્યારે મોરબી તાલુકાનું રામપર (પાડાબેકર) ગામ જાણે કે ભારત અને ગુજરાતના નકશામાં જ ના હોય તે રીતે વિકાસથી વંચિત રહી ગયેલ છે.
આઝાદીના 78 વર્ષ પછી અનેક ગામો રોડ રસ્તાઓથી એકબીજા સાથે જોડાયાં છે ત્યારે રામપર ગામના લોકો ચોમાસામાં પોતાના ખેતરોમાં પણ ના જઈ શકે એવી અતિ ગંભીર હાલતનું સર્જન થાય છે.છેલ્લા અનેક વર્ષોથી ગામલોકો અવરજવર માટે એક સામાન્ય પુલ બનાવવાની માંગણી કરે છે પણ તેમની આ વિનંતી સંસદસભ્ય,ધારાસભ્ય,જિલ્લા પંચાયત પ્રમુખ,તાલુકા પંચાયત પ્રમુખ કે કોઈ પણ આગેવાન સાંભળતો નથી.રામપર (પાડાબેકર) ગામ જાણે કે ભારત – ગુજરાતમાં હોય જ નહિ તે રીતે આ ગામ પ્રત્યે ઓરમાયું વર્તન રાખી વહીવટીતંત્ર આ ગામના વિકાસમાં રસ લેતું નથી.
ભારત ખેતીપ્રધાન દેશ છે ત્યારે રામપર (પાડાબેકર) ગામના ખેડૂતો ચોમાસામાં એમના ખેતરોમાં જઈ શકતા નથી એટલી દયનીય હાલત છે.બાર મહિનામાં બધા ખેડૂતો તેમના ખેતરમાં ત્રણ ત્રણ પાક લઈ શકે ત્યારે રામપરના ખેડૂતો આખા વર્ષમાં માંડ એકવાર જ ખેતી પાક લઈ શકે છે.રામપરમાંથી પસાર થતી નદી ઉપર અવરજવર માટે એક પુલ તાત્કાલિક ધોરણે બનાવવામાં આવે તો આ ગામની સમસ્યા હલ થાય.
જાગૃત પત્રકારો આ બાબતે વારંવાર રજૂઆત કરે છે તેમજ આ સમસ્યા વહીવટીતંત્ર અને રાજકીય મહિનુભાવો સુધી પહોંચાડે છે પણ આ સમસ્યાનો ઉકેલ આવતો નથી.
રામપર (પાડાબેકર) ના ખેડૂતો નજીકના દિવસોમાં જ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી સામે ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ ઉપર બેસવાનું પણ વિચારી રહેલ છે.લાગતાવળગતા સૌ અધિકારીઓ,પદાધિકારીઓ તૈમજ જાહેર જીવનના મહાનુભાવો રામપર (પાડાબેકર) ગામની સમસ્યા તાત્કાલિક હલ કરે તેવું ગામલોકો ઈચ્છે છે.
