
માતૃશ્રીની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે પવિત્ર ભક્તિ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ…કોટક પરિવારે ભજન, સત્સંગ અને પ્રસાદનું આયોજન કરી સમાજ સમક્ષ મૂકી અનોખી પ્રેરણા
આજના આધુનિક યુગમાં જ્યાં સંબંધોમાં લાગણી અને સંસ્કારોનું મહત્વ ધીમે ધીમે ઓછું થતું જોવા મળે છે, ત્યાં પોતાના માતા-પિતાના ઋણને યાદ રાખી તેમની સ્મૃતિને સેવાકાર્ય અને ભક્તિના માધ્યમથી જીવંત રાખતા સંતાનો સમાજ માટે પ્રેરણારૂપ બની રહ્યા છે. શ્રવણકુમાર જેવા સંસ્કારી અને માતૃભક્ત સંતાનો જ પરિવાર તેમજ સમાજના સાચા આદર્શ ગણાય છે. માતૃપ્રેમ, માતૃસેવા અને માતાના આશીર્વાદ કરતાં મોટું કોઈ તીર્થ નથી. પોતાની માતાની પુણ્યસ્મૃતિમાં ધાર્મિક કાર્યક્રમો યોજી સમાજને સંસ્કાર, સેવા અને ભક્તિનો સંદેશ આપવો એ ખરેખર અનુસરવા જેવી સુંદર પરંપરા છે.
માતા સ્વ. ધનલક્ષ્મીબેન દીપચંદભાઈ કોટકની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિના પાવન અવસરે કોટક પરિવાર (હારીજવાળા, હાલ પાટણ) દ્વારા તા. ૫ જુલાઈ, ૨૦૨૬ના રોજ હારીજ હાઈવે રોડ સ્થિત શ્રી જલારામ મંદિરે શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ, પાટણ અને હારીજના સંયુક્ત ઉપક્રમે બપોરે ૩:૦૦થી ૬:૦૦ કલાક દરમિયાન ભક્તિમય જલારામ ભજન સંધ્યાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
આ ધાર્મિક કાર્યક્રમમાં પાટણ જલારામ ગૌ સત્સંગ મંડળ અને હારીજ જલારામ ગૌ સત્સંગ મંડળ બંનેના સહયોગથી જલારામ બાપાના ભજનો દ્વારા ભક્તિમય વાતાવરણ સર્જાયુ હતું .ત્યારબાદ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું અને સાંજે ૭:૦૦ કલાકે સર્વે ભક્તો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવી હતી.
આ પ્રસંગે નિમંત્રક ભીખાલાલ દીપચંદભાઈ કોટક પરિવાર (હારીજવાળા, પાટણ) તથા જગદીશભાઈ દીપચંદભાઈ કોટક પરિવાર (હારીજવાળા, પાટણ/અમદાવાદ) નો બંને મંડળ દ્વારા પૂજ્ય જલારામ બાપાના સ્મૃતિ ચિન્હ આપી સન્માનિત કરાયા હતા.
ધાર્મિક અને સંસ્કારલક્ષી ઉપક્રમ માત્ર એક પરિવારનો કાર્યક્રમ નથી, પરંતુ સમગ્ર સમાજ માટે માતા-પિતાના સન્માન, ભારતીય સંસ્કૃતિ અને ભક્તિના મૂલ્યોને જીવંત રાખવાનો પ્રેરણાદાયી સંદેશ છે.
