હોટેલ – રેસ્ટોરન્ટ માત્ર પાર્સલ સેવા જ આપી શકશે : ધર્મસ્થાનો પણ બંધ : જિલ્લા કલેક્ટરનું જાહેરનામું અમલી
મોરબી : આજે કેન્દ્ર રાજ્ય સરકાર દ્વારા નવી કોવિડ ગાઈડ લાઈન જાહેર કરી આગામી પાંચમી મે સુધી વધુ નિયંત્રણ લાગુ કરતા મોરબી જિલ્લા કલેકટરે વિધિવત જાહેરનામું બહાર પાડ્યું છે જેને પગલે મોરબીમાં મીની લોકડાઉન અમલી બનશે અને ચા – પાનના લારી ગલ્લા આગામી પાંચમી સુધી બંધ રહેશે માત્ર આવશ્યક ચીજવસ્તુ માટે ધંધા રોજગાર ચાલુ રાખી શકાશે.
મોરબી જિલ્લા કલેકટર દ્વારા આજે બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ તા. ૨૮મી એપ્રિલ-૨૦૨૧ બુધવારથી તા. ૦૫મી મે-૨૦૨૧ બુધવાર સુધી રાત્રી કરફ્યુ યથાવત રાખવામાં આવ્યો છે અને ચા – પાનના લારી ગલ્લા સહિત ભીડ એકત્રિત થતી હોય તેવા ખાણી – પીણીના ધંધા બંધ રાખવા આદેશ કરાયો છે જો કે, શહેરોમાં તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે.
નવા નિયંત્રણ મુજબ મોરબી શહેરમાં અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચાલુ રહેશે. તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ પ્રવૃત્તિઓ યથાવત ચાલુ રહેશે. આ તમામ એકમોએ SOPનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. તમામ મેડિકલ અને પેરામેડિકલ સેવાઓ યથાવત રહેશે.
મોરબી શહેરોમાં તમામ રેસ્ટોરન્ટ બંધ રહેશે માત્ર ટેક-અવે એટલે કે પાર્સલ સેવાઓ ચાલુ રાખી શકાશે. શહેરમાં મોલ, શોપિંગ કોમ્પલેક્ષ, ગુજરી બજાર, સિનેમા હોલ, ઓડિટોરિમય, જીમ, સ્વીમિંગ પુલ, વોટરપાર્ક, જાહેર બાગ-બગીચાઓ, સલૂન, સ્પા, બ્યુટી પાર્લર અને અન્ય એમ્યુઝમેન્ટ પ્રવૃત્તિઓ બંધ રહેશે.
જિલ્લામાં તમામ APMC બંધ રહેશે. માત્ર શાકભાજી અને ફળ-ફળાદિના વેચાણ સાથે સંલગ્ન APMC ચાલુ રાખી શકાશે. ધાર્મિક સ્થળોએ જાહેર જનતાનો પ્રવેશ બંધ રહેશે માત્ર સંચાલકો અને પૂજારીઓ પૂજાવિધિ કરી શકશે. પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ ૫૦ ટકા ક્ષમતા સાથે ચાલુ રહેશે.
લગ્ન પ્રસંગમાં નિયમો અનુસાર વધુમાં વધુ ૫૦ વ્યક્તિઓ હાજર રહી શકશે અને અંતિમવિધિઓમાં ૨૦ વ્યક્તિઓ હાજર રહી શકશે.
