*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*
ગીર સોમનાથના વિષય નિષ્ણાંત પૂજાબેન નકુમે તેમની સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે ચારેકોર પ્રાકૃતિક ખેતી, રસાયણમુક્ત ખેતી,ઝેરમુક્ત ખેતિની ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે મારા મત અનુસાર હવે એ સમય આવી ગયો છે કે આપણે સૌએ સૌ પ્રથમ તો “અ અળસીયાનો અ”થી શરૂઆત કરવી પડશે. કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે જમીન એ ખૂબ જ મહત્વનો કુદરતી સ્ત્રોત છે. એક સમય હતો જ્યારે જમીનમાં આપણને પુષ્કળ અળસીયા જોવા મળતા હતા પરંતુ દિન પ્રતિદિન કૃષિમાં રસાયણોના થતા અવિચારી અને વધુ ઉપયોગને કારણે જમીનની ગુણવતા તથા ઉત્પાદન શક્તિ ઉપર પ્રતિકુળ અસર થતી જાય છે અને અળસિયા ભાગ્યે જ કોઈ ખેતરમાં જોવા મળે છે, જેના પરીણામે પાકના ઉત્પાદન અને ગુણવત્તા પર પણ તેની માઠી અસર જોવા મળે છે. આવા સંજોગોમાં જમીનમાં સેંદ્રીય પદાર્થો ઉમેરવાની તાતી જરૂરીયાત ઉભી થયેલ છે. જેમાં છાણીયુ ખાતર, વિવિધ ખોળ, લીલો પડવાશ, વર્મિકમ્પોસ્ટ ઉપયોગી છે તે પૈકીનુ વર્મિકમ્પોસ્ટ એ અળસીયા દ્વારા ઝડપથી તૈયાર થતુ કેંદ્રીય ખાતર છે. જે નાઇટ્રોજન, ફોસ્ફરસ, તથા પોટાશ જેવા મુખ્ય પોષકતત્વો તથા ગૌણ અને સૂક્ષ્મતત્વો પૂરા પાડે છે.
આ ઉપરાંત અળસીયા દ્વારા છોડવામાં આવતા ઉત્સેચકોના કારણે તેની ગુણવત્તા અન્ય સેન્દ્રીય ખાતરો કરતા ઉંચી હોય છે. આથી એવુ કહી શકાય કે અળસીયુ એ ખેડૂતનુ કુદરતી હળ છે કારણ કે તે જમીનમાં સતત કાર્યરત રહે છે. જેના લીધે જમીનમાં અનેક કાણાં પડે છે જે જમીન માટે ફાયદારૂપ સાબીત થાય છે. અળસીયુ એ ખેડુતના ખેતરનો અવિરતપણે કામ કરતો એંજીનીયર છે. જો અળસીયા કે તૈયાર થયેલ ખાતરનો જથ્થો વધુ પ્રમાણમાં હોય તો તેનુ વેચાણ કરી આવકનો એક નવો સ્ત્રોત પણ ઉભો કરી શકાય છે. આથી આપણી જમીનમા ખેડુતના મિત્ર એવા અળસીયાની સંખ્યા કેવી રીતે વધે તે અંગે સહિયારા પ્રયત્ન કરવાની પૂજાબેન નકુમે સૌને અપીલ કરી છે.
