મોરબીઃ આગામી તારીખ 10 સપ્ટેમ્બરના રોજ પ્રજાના સ્પર્શતાં વિવિધ પ્રશ્નોને લઈને સરકારના વિરોધમાં કોંગ્રેસ દ્વારા અડધો દિવસ ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું છે ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ પટેલ દ્વારા આ બંધમાં જોડાવવા માટે અપીલ કરવામાં આવી છે.
મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જંયતીલાલ પટેલની યાદીમાં જણાવાયું છે કે, સરકારની પ્રજા વિરોધી નીતિઓને કારણે ભારત અને ગુજરાતમાં રહેતા ગરીબો, મજુરો, વેપારીઓ, નાના દુકાનદારો, નાના ઉધ્યોગકારો, કિશાનો, મધ્યમવર્ગનાં લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. પેટ્રોલ, ડીઝલ, ગેસ, મોંઘા થવાનાં કારણે મોંઘવારી ચરમ સીમાએ પહોંચી છે. ઉપરથી પ્રજાને રાહત આપવાની જગ્યાએ અનાજ, ઘઉંનો લોટ, દૂધ, દહીં, માખણ, પનીર, ગોળ, મધ જેવી જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ ઉપર જી.એસ.ટી લગાવી પ્રજાનાં ઘા ઉપર મીઠું ભભરવાનું કામ કેન્દ્રની ભાજપ સરકારે કર્યું છે. સરકારની પ્રજા વિરોધી નીતિઓ સામે આક્રોશ વ્યક્ત કરવા કોંગ્રેસ પક્ષ દ્વારા આપવામાં આવેલ સાંકેતિક બંધ (આંશિક બંધ)ના એલાનમાં મોરબીના સૌ પ્રજાજનો, વેપારીઓ, દુકાનદારો, નાના ઉધ્યોગકારોને જોડાઈને સાથ-સહકાર મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા અપીલ કરાઈ છે.
