
ટેંટોડા ગૌશાળાને દેવામુકત કરવા રૂપિયા સવા ત્રણ કરોડની સહાય કરતું ડીસાનું જલારામ મંદિર
અંદાજે છ હજાર જેટલી ગૌમાતાઓનું પાલન પોષણ કરતી બનાસકાંઠાની ભાભર પછીની બીજા નંબરની ખૂબ જ મોટી એવી ટેટોડાની રાજારામ ગૌશાળામાં દૈનિક સાડા ત્રણ લાખનો નિયમિત ખર્ચ છે.ગૌશાળા ચલાવવી એ લોઢાના ચણા ચાવવા બરાબર છે.ટેટોડા ગૌશાળા ભારે દેવામાં આવી જતાં ડીસાનું જલારામ મંદિર તેની વહારે આવેલ છે.ડીસા જલારામ મંદિર સાથે સંકળાયેલ જલારામ ભકતો સર્વ શશીકાંતભાઈ ડી.ઠકકર,ભરતભાઈ ભાવિક,નરેશભાઈ ડી.આચાર્ય,મણીભાઈ પટેલ-શેઠ,જગદીશભાઈ એસ.પૂજારા,ભગવાનભાઈ બંધુ સહિત વિવિધ ગૌભકતોની નિષ્ઠાપૂર્વકની મહેનતને લીધે વિવિધ દાતાઓનો સંપર્ક કરી પૂજ્ય જલારામ બાપાને માધ્યમ બનાવી સવા ત્રણ કરોડ રૂપિયા ગૌસેવા હેતુ એકત્રિત-સંકલિત કરી ટેટોડા ગૌશાળાને સહાય કરવામાં આવેલ છે.
ગૌશાળાનું સંચાલન અતિશય અઘરૂ છે.ટેટોડા રાજારામ ગૌશાળા વંદનીય સંત પૂજ્ય રામરતનજી મહારાજની આકરી તપશ્ર્ચર્યા તેમજ શ્રદ્ધાને લીધે જ ટકી રહી છે.અનેક ગૌભકતોનો તેમને સાથ સહકાર છે છતાં ગૌશાળાના નિભાવ માટે રોજેરોજ દાતાઓની જરૂર પડતી હોય છે.
ડીસાનું જલારામ મંદિર દર્શનધામની સાથે સાથે એક આગવું સેવાધામ છે.ડીસાનો સમગ્ર સનાતન હિંદુ સમાજ જલારામ મંદિરે માથું ટેકવી સંતોષ અનુભવે છે.દર ગુરૂવારે ડીસા જલારામ મંદિરે મેળા જેવું વાતાવરણ હોય છે.ગૌમાતાઓની સેવા કરવાનો જલારામ મંદિર દ્રારા મહત્વનો નિર્ણય લેવાતાં તેમજ ટેટોડા ગૌશાળાને ઉદાર મદદ કરાતાં સમગ્ર ઉતર ગુજરાતમાં ડીસા જલારામ મંદિરની મુક્ત કંઠે પ્રશંસા થઈ રહી છે.આગામી દિવસોમાં પણ ડીસા જલારામ મંદિર દ્રારા ભોજનસેવા,ભજનસેવા તેમજ ગૌસેવાને વધારે વ્યાપક બનાવવાનો અતિ મહત્વનો નિર્ણય કરાયો છે.

