આમરણ:તા ૨૨ મોરબી તાલુકાના આમરણ ગામે કોમી એકતા અને માનવતાની સુવાસ ફેલાવતી એક ઘટના સામે આવી છે. અહીં એક ગૌભક્ત મુસ્લિમ બિરાદરે પોતાના પુત્રના લગ્ન પ્રસંગને યાદગાર બનાવવા માટે ઘર આંગણે ગૌમાતાના લાભાર્થે સંતવાણીના કાર્યક્રમનું ભવ્ય આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન એકત્રિત થયેલું લાખો રૂપિયાનું ભંડોળ સ્થાનિક ગૌશાળાને અર્પણ ક૨ીને તેમણે સમાજ સામે હિન્દુ-મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
*પુત્રના લગ્ન પ્રસંગે ગૌમાતા માટે કંઈક કરી છૂટવાની ભાવના*
આમરણના દાવલશાવાસમાં રહેતા સૈયદ ફારુકમિયા બાપુમિયા બુખારીએ પોતાના પુત્ર અલ્ફાઝના લગ્ન પ્રસંગે ગૌમાતા માટે કંઈક વિશેષ કરવાની ભાવના સાથે સંતવાણી યોજી હતી. આ પ્રસંગે હિન્દુ અને મુસ્લિમ બંને સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ભક્તિમય માહોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં કલાકારો પર ઘોર સ્વરૂપે રૂપિયા 2.5 લાખ (અઢી લાખ) જેટલી માતબર રકમ એકત્રિત થઈ હતી. આ તમામ રકમ ફારુકમિયા દ્વારા આમરણની ગૌશાળામાં ગૌસેવા અર્થે સમર્પિત કરી દેવામાં આવી છે.
*પુત્રના લગ્ન પ્રસંગે ગૌમાતા માટે કંઈક કરી છૂટવાની ભાવના*બાળપણથી જ ગૌમાતા પ્રત્યે અખંડ આસ્થા
ગૌભક્ત ફારુકભાઈ બુખારી બાળપણથી જ ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા હોવાથી તેઓ ગૌમાતા અને અબોલ પશુઓ પ્રત્યે અખૂટ લાગણી ધરાવે છે. જ્ઞાતિ-જાતિના ભેદભાવથી પર રહીને તેઓ હિન્દુ સમાજના ધાર્મિક કાર્યોમાં પણ હંમેશા આર્થિક અને સામાજિક યોગદાન આપીને એકતાની મશાલ પ્રજ્વલિત રાખે છે. પુત્રના ધામધૂમપૂર્વક યોજાયેલા આ લગ્ન પ્રસંગે હિન્દુ સમાજના લોકો માટે ખાસ નવેઢીયા જમણવારનું પણ સુંદર આયોજન ક૨વામાં આવ્યું હતું.
રાજકીય અને સામાજિક અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિ
આ મંગલમય પ્રસંગે ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા સહિત ભાજપ અગ્રણીઓ હસમુખભાઈ ગામી, યોગેશભાઈ વાઘડિયા, તાલુકા પંચાયત સદસ્ય રાજેશભાઈ કાસુન્દ્રા, વિરલભાઈ અઘારા તથા ગૌશાળા સંચાલક મહેશભાઈ કાસુન્દ્રા સહિતના અગ્રણીઓ અને બંને સમાજના લોકોએ મોટી સંખ્યામાં હાજરી આપીને નવદંપતીને આશીર્વાદ પાઠવ્યા હતા અને ફારુકભાઈની આ ગૌસેવાની સરહાના કરી હતી.



