
સામાજીક કાર્યકરો, આગેવાનો અને હોસ્પિટલ પ્રસાશનની રજુઆત સફળ
(જનક રાજા દ્વારા) મોરબી : મોરબીની સિવીલ હોસ્પિટલમાં લાંબા સમયથી વિવિધ બીમારીઓના ડોકટરોની ધટને લઈ સામાજીક કાર્યકરો, આગેવાનો અને હોસ્પિટલ પ્રસાશન દ્વારા અવાર નવાર ઉચ્ચકક્ષાએ રજુઆતો કરવામાં આવી હતી. જે રજુઆત અન્વયે તાજેતરમાં જ જનરલ અને લેપ્રોસ્કોપિક સર્જનની નિમણુંક કરાઈ છે અને ઉપરોક્ત રોગ સંબંધી સેવા શરૂ કરવામાં આવી છે.
મોરબીને જીલ્લાનો દરજ્જો આપવામાં આવ્યો તે પહેલાની મોરબી સિવીલ હોસ્પિટલમાં વિવિધ બીમારીઓના મહત્વપૂર્ણ ડોકટરોની ધટ હતી. જેથી શહેરના સામાજીક કાર્યકર રાજુભાઈ દવે,જીજ્ઞેશભાઈ પંડ્યા,જગદીશભાઈ બાંભણીયા સહિતના રાજકીય આગેવાનો અને હોસ્પિટલ તંત્ર દ્વારા સરકાર પાસે વારંવાર રજુઆતો કરી ખાલી પડેલી મહત્વપૂર્ણ ડોકટરોની જગ્યાઓ ભરવા માંગણીઓ કરવામાં આવી હતી. આ રજૂઆતોને લઈને મોરબી સિવીલ હોસ્પિટલમાં ડો. વિમલ દેત્રોજાની ( જનરલ અને લેપ્રોસ્કોપિક સર્જન ) ડોકટરોની નિમણુંક કરવામાં આવતા હવે હોસ્પિટલના રૂમ નંબર ૮ માં જનરલ અને લેપ્રોસ્કોપિક સર્જનની ઓપીડી શરૂ કરવામાં આવી છે. તો ટુંક સમયમાં જરૂરીયાત વાળા દર્દીઓ માટે ઓપરેશન સેવા પણ ચાલુ કરવામાં આવશે. તો ઉપરોક્ત સેવાનો વધુમાં વધુ લોકોને લાભ લેવા હોસ્પિટલના ઈન્ચાર્જ અધિક્ષક ડો.કે.આર.સરડવા અને ઈન્ચાર્જ આરએમઓ ડો. શૈલેષ પટેલે અનુરોધ કર્યો છે.
