
ડીસા રઘુવંશી દેશી* લોહાણા મહાજનના વર્તમાન હોદેદારોની મુદત પૂર્ણ થતાં નવીન હોદેદારોની પસંદગી માટે તાજેતરમાં જ સમગ્ર સમાજની મીટિંગ સમાજ અગ્રણી જયંતિભાઈ ઓઢાવાળાના અધ્યક્ષ સ્થાને મહાજન વાડી ખાતે મળી હતી.
મીટિંગના પ્રારંભે દીપપ્રાગટય કર્યા બાદ મહાજનના પૂર્વ પ્રમુખ ભગવાનભાઈ બંધુ તેમજ પૂર્વ ઉપપ્રમુખ જયંતિભાઈ ઓઢાવાળાએ વાડીના સદગત મેનેજર પરષોતમદાસ ઠકકર તેમજ કર્મઠ પાયાના કાર્યકર સદગત અમરતલાલ એન.ઠકકરના ગુણાનુવાદ કરતાં સૌએ બે મિનિટનું મૌન પાળી તેમને શ્રધ્ધાંજલી આપી હતી.
નવા હોદેદારોની નિમણૂંક અંગે ચર્ચા થતાં દેવચંદભાઈ એન.ઠકકરે વર્તમાન ટીમને ચાલુ રાખવાની દરખાસ્ત મૂકતાં દીલીપભાઈ બી.વકીલે તેને ટેકો આપતાં પ્રમુખ તરીકે રજનીભાઈ બી.ઠકકર, ઉપપ્રમુખ તરીકે બાબુભાઈ પ્રાઈમવાળા, મંત્રી તરીકે દિનેશભાઈ દીપવાળા તેમજ ખજાનચી તરીકે દેવચંદભાઈ એન.ઠકકર ની સત્તાવાર જાહેરાત ભગવાનભાઈ બંધુએ કરી હતી અને સૌને જયંતિભાઈ ઓઢાવાળાએ આશીર્વાદ આપતાં સમગ્ર સમાજે આ જાહેરાતને સહર્ષ વધાવી લીધી હતી.
આ અવસરે શિક્ષણક્ષેત્રે ઉજ્જવલ કારકિર્દી ધરાવતા સમાજના તેજસ્વી દીકરા-દીકરીઓ તેમજ સાહિત્ય અકાદમીનો એવોર્ડ મેળવનાર સમાજ રત્ન કનુભાઈ આચાર્યને પણ અભિનંદન આપી તાળીઓના ગડગડાટ સાથે વધાવવામાં આવ્યા હતા.વીતેલા વર્ષના નાણાંકીય હિસાબો રજૂ કર્યા બાદ સંસ્થાના વિકાસ માટે પણ ચર્ચા કરવામાં આવી હતી.સરસ મજાના અલ્પાહારની વ્યવસ્થા દીલીપભાઈ વકીલ તરફથી કરવામાં આવી હતી.સમાજના નિષ્ઠાવાન પત્રકાર આનંદભાઈ પી.ઠક્કરે પણ ખાસ હાજરી આપી હતી.નવા વરાયેલા પ્રમુખ રજનીભાઈ બી.ઠકકરે સૌનો આભાર માન્યો હતો જ્યારે મંત્રી દિનેશભાઈ દીપવાળાએ સમગ્ર કાર્યક્રમની આભાર વિધિ કરી હતી.સમગ્ર કાર્યક્રમનું સુચારૂ સમયબધ્ધ સંચાલન પૂર્વ પ્રમુખ ભગવાનભાઈ બંધુએ કર્યુ હતું.શ્રી રામ સ્તુતિ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.
