
મોરબી :તા ૨૮ ૧ લી ડિસેમ્બરે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પ્રથમ ચરણના મતદાન આડે ગણતરીની કલાકો બાકી રહીયા છે ત્યારે મોરબીમાં ગઈકાલે રાત્રે ભાજપ વિરુદ્ધ હોર્ડિંગ્સ લાગવાની સાથે કેટલાક ચોપાનિયા વહેતા થતા આજે ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતીયાએ પત્રકાર પરિષદ યોજી મતદારોને ભ્રમિત અને ગુમરાહ નહીં થવા અપીલ કરી હતી મોરબીમાં રાવણરાજ બંધ કરાવી આવનાર દિવસોમાં રામરાજ લાવવું છે તેવું જણાવી ભાજપમાં જ રહેલા ભાજપ વિરોધીઓને તકવાદી ગણાવ્યા હતા.
૧લી ડિસેમ્બરે પ્રથમ તબક્કામાં મતદાન માટે પ્રચાર યુદ્ધ ચરમસીમાએ છે તેવા સમયે જ ગઈકાલે મોરબીમાં ભાજપ વિરુદ્ધ હોર્ડિંગ્સ લાગવાની સાથે લોકોને ચોપાનિયા વિતરણ કરવામાં આવતા આજે પ્રચાર પડઘમ શાંત પડે તે પૂર્વે ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતીયાએ પત્રકાર પરિષદ યોજી વિરોધીઓને આડેહાથ લેતા જણાવ્યું હતું કે, આજે પ્રચાર પડઘમ શાંત થાય તે પૂર્વે વિશાળ કાર રેલી નહીં પણ રેલો યોજવામાં આવશે. સાથે જ તેઓએ ઉમેર્યું હતું કે, મોરબીની ડિઝાઇન ખરાબ કરતા તત્વો ભાજપ વિરુદ્ધ હોર્ડિંગ્સ તેમજ ચોપાનિયા વિતરણ કરી ભાજપને નુકશાન પહોંચાડવા માંગે છે પરંતુ એનાથી કોઈ ફર્ક નહીં પડે, મોરબીની પ્રજા ભાજપને અને કાનભાઈને પસંદ કરે છે.
વિશેષમાં તેઓએ જણાવ્યું હતું કે ભાજપમાં જ રહેલા કેટલાક તત્વો પક્ષને નુકશાન થાય તે માટે પ્રયત્નો કરી રહ્યા હોવાનું જણાવી કટાક્ષમાં જણાવ્યું હતું કે, મોરબીમાં રાવણરાજ ખતમ કરી રામરાજ નિર્માણ કરવા લોકો મને જીતાડવાના છે ત્યારે સ્વાભાવિક પણે જ વિરોધીઓના પેટમાં તેલ રેડાતું હોવાનું જણાવી આવા પ્રયાસ થઈ રહ્યા હોવાનું તેમને ઉમેરી મતદારોને ભ્રમિત નહીં થવા અપીલ કરી હતી.
આ તકે હળવદ – ધ્રાંગધ્રા મત વિસ્તારના ધારાસભ્ય પરસોતમભાઇ સાબરીયા પણ હાજર રહ્યા હતા અને તેઓએ કોળી સમાજના મતદારોને વિકાસને મત આપી વડાપ્રધાન મોદીને મજબૂત બનાવવા અપિલ કરી હતી
