હિંદુ હ્દય સમ્રાટ વાંકાનેર-67 ના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનું સમગ્ર ગુજરાતના રઘુવંશી લોહાણા સમાજ દ્રારા જાલીડા રામધામ ખાતે થયું ભવ્યાતિભવ્ય-દિવ્યાતિદિવ્ય સન્માન
સમગ્ર ગુજરાતનો રઘુવંશી લોહાણા સમાજ જેમના માટે ગર્વ અને ગૌરવ અનુભવી રહ્યો છે એવા વાંકાનેર-67 ના લોકપ્રિય હિંદુ હ્દય સમ્રાટ ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનો જાલીડા રામધામ ખાતે દબદબાભેર સન્માન સમારંભ યોજાયો હતો.શરણાઈ-ઢોલના ઢબૂકતા નાદે સંતો તેમજ મહેમાનોનું સ્વાગત કર્યા બાદ સૌને કંકુતિલક-ચોખાથી હરખભેર વધાવવામાં આવ્યા હતા.સંતો તેમજ ઉપસ્થિત મહેમાનો દ્રારા દીપપ્રાગટય કર્યા બાદ રાષ્ટ્રગીત તેમજ લોહાણા મહાપરિષદ રચિત રઘુવંશી ગૌરવ ગીતના સુમધુર ગાન દ્રારા કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો.કમીજલા ભાણ સાહેબની જગ્યાના મહામંડલેશ્ર્વર પૂજ્ય જાનકીદાસજી બાપુ તેમજ ગોંડલ રામજી મંદિરના પૂજ્ય જયરામગીરીજી બાપુએ આશીર્વચન પાઠવી જીતુભાઈનું સન્માન કર્યા બાદ તમામ સંતોને પણ વાજતેગાજતે સન્માનિત કરાયા હતા. ઉપસ્થિત તમામ મંચસ્થ મહાનુભાવોને રામધામ ખેસ તેમજ ફૂલછડીથી સન્માનિત કરાયા હતા.
સમગ્ર ગુજરાતમાંથી અંદાજે 7000 સાત હજાર જેટલા રઘુવંશી ભાઈઓ તેમજ બહેનો જીતુભાઈને અભિનંદન,આશીર્વાદ આપવા તેમજ સન્માન કરવા માટે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.ઉપસ્થિત આગેવાનોમાંથી લોહાણા મહાપરિષદ ઉતર ગુજરાત ઝોનના પ્રમુખ ડીસાના ભગવાનભાઈ બંધુ,તલાલા લોહાણા મહાજનના પ્રમુખ યોગેશભાઈ ઉનડકટ,રાજકોટના પૂર્વ મેયર જનકભાઈ કોટક,રઘુવંશી ક્રાંતિ મંચ ગુજરાતના પ્રમુખ ડો.ધર્મેશભાઈ ઠકકર,સાવરકુંડલાના ચંદ્રેશભાઈ રવાણી,રાજકોટનાં મહિલા અગ્રણી કાશ્મીરાબેન નથવાણી,જસદણ નગરપાલિકા શિક્ષણ સમિતિ ચેરમેન સોનલબેન વસાણી,બેચરાજી જલારામ મંદિર ના પ્રમુખ નરેશભાઈ ઠકકર સહિત વિવિધ અગ્રણીઓએ સંબોધન કરી જીતુભાઈ સોમાણીની ધર્મપરાયણતા,રામ પ્રત્યેની લાગણી,હિંદુ ભાવના,નીડરતા તેમજ ભારતીય જનતા પાર્ટી પ્રત્યેની અખંડ,અતૂટ શ્રધ્ધાની ભારે પ્રશંસા કરી તેમને અભિનંદન આપ્યા હતા. સમગ્ર ગુજરાતનાં રઘુવંશી લોહાણા મહાજનો,લોહાણા યુવક મંડળો,લોહાણા મહિલા મંડળો,લોહાણા સમાજની વિવિધ સેવાકીય તેમજ સંગઠનાત્મક સંસ્થાઓ,જલારામ મંદિરો,લોહાણા મહાજન વાડીઓ એમ કુલ મળી અંદાજે 250 જેટલી સંસ્થાઓએ જીતુભાઈ સોમાણીનું વારાફરતી સાલ,ફૂલહાર,મોમેન્ટો,પુસ્તક,ધાર્મિક ખેસ,ફૂલછડી,મીઠાઈ,સન્માનપત્ર એમ વિવિધ વસ્તુઓથી અદભૂત અને અભૂતપૂર્વ સન્માન કર્યું હતું.1960 માં ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારથી આજદિન સુધી ગુજરાત વિધાનસભામાં લોહાણા સમાજના સેવાભાવી અગ્રણીઓએ ધારાસભ્ય તરીકે પ્રતિનિધિત્વ કર્યું છે.કચ્છના પ્રેમજીભાઈ ભવાનજીભાઈ ઠકકર,પોરબંદરના શશીકાંતભાઈ લાખાણી તેમજ લાલપુરના હરિદાસ લાલ જેવા ધારાસભ્યો ગુજરાત સરકારમાં મિનિસ્ટર રહી ચૂક્યા છે. રાધનપુરના હિંમતલાલ મુલાણી,પોરબંદરના શશીકાંતભાઈ લાખાણી,ભૂજનાં નીમાબેન આચાર્ય જેવા ધારાસભ્યો ગુજરાત વિધાનસભાનું અતિ ગૌરવશાળી સર્વોચ્ય પદ એવા સ્પીકર પદ ઉપર પણ બિરાજમાન થયેલ છે.પોરબંદરના વસનજી ઠકરાર,વાંકાનેરનાં જ્યોત્સ્નાબેન સોમાણી,જૂનાગઢના મહેન્દ્રભાઈ મશરૂ,ધારીના ખોડીદાસ ઠકકર સહિતના સન્માનીય અગ્રણીઓ વિધાનસભામાં ધારાસભ્ય તરીકે પહોંચી અમૂલ્ય લોકસેવા કરી ચૂકયા છે.
ગુજરાતનો મહતમ રઘુવંશી લોહાણા સમાજ ભાજપ સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલો છે ત્યારે વધારે ટિકિટની અપેક્ષા સામે જીતુભાઈ સોમાણીને વાંકાનેર-67 વિધાનસભાની ટિકિટ મળતાં સમગ્ર લોહાણા સમાજમાં અનહદ રાજીપો હતો.વર્ષોથી કોંગ્રેસને ફાળે જતી આ સીટ જીતવાનું ભાજપ માટે અઘરૂં હતું.જીતુભાઈ સોમાણીને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી,કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ,ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ,ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિત સમગ્ર મોવડીમંડળના ભરપૂર આશીર્વાદ તેમજ સાથ સહકાર હતો.વાંકાનેર સીટના સમસ્ત સનાતન હિંદુ સમાજે પણ સંપૂર્ણ ટેકો જાહેર કર્યો હતો.વાંકાનેર સીટમાં રહેતા રઘુવંશી લોહાણા સમાજના તમામ પરિવારોને જીતુભાઈ સોમાણી પ્રત્યે આગવું વિશિષ્ટ સન્માન હતું.સમગ્ર ગુજરાત,ભારત અને વિશ્ર્વનો રઘુવંશી લોહાણા સમાજ જીતુભાઈ સોમાણી જીતે તે માટે પણ સતત મહેનત અને પૂજ્ય જલારામ બાપાને પ્રાર્થના કરતો હતો.જીતુભાઈ સોમાણીની નીડરતા,શુદ્ધતા,હિંદુ ધર્મ પ્રત્યેનો આગવો અહોભાવ,સ્થાનિક લોકોનો અવર્ણનીય સહકાર તેમજ સૌ જ્ઞાતિઓને સાથે લઈને ચાલવાનો તેમનો અભિગમ એમ તમામ બાબતોનો સરવાળો થતાં જીતુભાઈ સોમાણી ખૂબ જ સારી લીડથી જીતતાં તાજેતરમાં જ રામધામ જાલીડા ખાતે સન્માન સમારંભનું દિવ્ય આયોજન કરાયું હતું.સમગ્ર કાર્યક્રમનું અતિ સુચારૂ સમયબધ્ધ સંચાલન જીતુભાઈ સોમાણીના પ્રખર ટેકેદાર એવા વાંકાનેરના વિનુભાઈ કટારીયા તેમજ ચોટીલાના હરેશભાઈ કોટકે કર્યું હતું.ઉપસ્થિત સૌ મહેમાનો માટે ચા,નાસ્તો,ભોજનની અતિ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.આ પ્રેરણાદાયી અવસરે ઉપસ્થિત રહેલ તમામ પત્રકારો માટે અલાયદી બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી.ધારાસભ્ય જીતુભાઈ સોમાણી તેમજ એમના પરિવારે સમગ્ર રઘુવંશી લોહાણા સમાજનો આભાર માની ૠણ સ્વિકારની લાગણી વ્યક્ત કરી હતી.અંદાજે 100 કરોડના ખર્ચે નિર્માણ પામનાર રામધામના સહયોગ માટે જાહેરાત થતાં અનેક આગેવાનો તેમજ મહાજનોએ પોતપોતાનો સહયોગ નોંધાવ્યો હતો.રામધામના નિર્માણની પણ તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને તેની પ્રાણ પ્રતિષ્ઠામાં 2024 માં દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સહિત વિવિધ આગેવાનો પધારે તેવું આયોજન પણ ગોઠવાઈ રહેલ છે.રામધામના નિર્માણ માટે હજારો રઘુવંશી લોહાણા આગેવાનો કાર્યરત થઈને ખૂબ જ ઝડપથી આ સત્કાર્ય પૂર્ણ થાય તે માટે કટિબધ્ધ બનેલ છે.ખૂબ જ ઠંડીનો માહોલ હોવા છતાં સમગ્ર સૌરાષ્ટ્ર,કચ્છ,મધ્ય ગુજરાત,ઉતર ગુજરાત,દક્ષિણ ગુજરાત,મહારાષ્ટ્ર એમ વિવિધ સ્થળોએથી રઘુવંશી લોહાણા આગેવાનો પધારતાં જીતુભાઈ સોમાણીના સન્માન સમારોહને ચાર ચાંદ લાગ્યા હતા અને સમગ્ર માહોલ રામમય તેમજ જલારામમય બન્યો હતો.ગુજરાતના ઈતિહાસમાં રાજકીય મંચ ઉપર સૌપ્રથમવાર ખૂબ મોટી સંખ્યામાં રઘુવંશી લોહાણા સમાજ એકત્રિત થતાં ઉપસ્થિત સૌકોઈએ અત્યંત રાજીપો વ્યક્ત કર્યો હતો.રામધામના તમામ ટ્રસ્ટીઓની મહેનત કાબિલેદાદ હતી.




