
*શ્રી હરિયાગ*
આપણી પવિત્ર ભારતીય સંસ્કૃતિમાં આદિકાળથી જ યજ્ઞનું પ્રાધાન્ય જોવા મળે છે. વૈદિક યુગમાં ઋષિમુનિઓ નિયમિત રીતે યજ્ઞ કરીને લોકોની સુખાકારીમાં મહત્વનું યોગદાન આપતા. મહાભારત અને રામાયણ પણ તેની સાક્ષી પૂરે છે. આજ દિન સુધી એ યજ્ઞની પ્રવિત્ર પરંપરા જાળવી રાખી છે. ભગવાન શ્રીકૃષ્ણએ પણ ભગવદગીતાના ત્રીજા અધ્યાયમાં યજ્ઞાદી કર્મ કરવા સૂચવ્યું છે.
શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલ ધ્રાંગધ્રા દ્વારા આવું જ એક અદભુત આયોજન કરવામાં આવ્યું છે. સંસ્થાપક એવમ પ્રેરક પ.પૂ. સદગુરુ શ્રી રામકૃષ્ણદાસજી સ્વામીએ ભગવાન શ્રી સ્વામિનારાયણની પરાવાણીરૂપ વચનામૃત ગ્રંથરાજની પારાયણ, સાથે સાથે શ્રી સ્વામિનારાયણ મહામંત્રના જાપ કર્યા એના પુરશ્ચરણ રૂપે વડતાલ ધામ દ્વીશતાબ્દી મહોત્સવના ઉપક્રમે શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલ ધ્રાંગધ્રાના પટાંગણમાં જ તારીખ ૩-૧૨-૨૦૨૩ રવિવારથી લઈને તારીખ ૩૧-૧-૨૦૨૪ બુધવાર સુધી એટલે કે ૬૦ દિવસ સુધી દિવ્ય ને ભવ્ય શ્રી હરિયાગનું આયોજન કરવામાં આવ્યું છે.
સમગ્ર ભારતીય માનવ સમાજની સુખાકારી તેમજ ભારત દેશના સુકાની માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભારતની સરહદે ફરજ બજાવી રહેલા આપણા સૈનિકોનું સ્વાસ્થ્ય પરમાત્મા સ્વસ્થ રાખે એવા શુભ આશયથી પૂ. ગુરુજીએ આ યજ્ઞનો પ્રારંભ કર્યો છે. સાથો સાથ આ યજ્ઞમાં લાભ લેનાર લાભાર્થીઓના જીવનમાં આધી, વ્યાધી અને ઉપાધિના ત્રિવિધી તાપ ટળી ભૌતિક તેમજ આધ્યાત્મિક જીવનમાં સમૃદ્ધિ હાંસલ કરે એ જ અભ્યર્થનાથી આ હરિયાગનું આયોજન થયું છે. વધુ ને વધુ લોકો આ યજ્ઞમાં બેસવાનો લાભ લઈ પોતાના જીવનને કૃતાર્થ કરી શકે એ હેતુથી આ યજ્ઞ સંપૂર્ણત નિ:શુલ્ક રાખવામા આવેલ છે.
પ્રાચીન ભારતમાં જે રીતે યજ્ઞશાળા ઊભી કરી યજ્ઞનારાયણ તેમજ તેના અધિષ્ઠાતા દેવ-દેવીઓનું પૂજન અર્ચન કરી શાસ્ત્રોકત મંત્રો સાથે જવ, તલ ને ઘી ની આહૂતિ અપાતી એ જ ઢબે તૈયાર કરાયેલી અદભૂત યજ્ઞશાળાના આ નયનરમ્ય દ્રશ્યને નિહાળવાનું તેમજ આ અમૂલ્ય અવસરનો લાભ લેવાનું ચૂકતા નહીં !!
જય સ્વામિનારાયણ


