
મોરબી તા ૧૩ : મહર્ષિ દયાનંદ સરસ્વતીની ૨૦૦ મી જન્મજયંતિ નિમિતે મોરબીમાં આર્ય સમાજ દક્ષિણ પ્રેરીત મહોત્સવ સમિતિ દ્વારા આગામી ૨૪ મી ડિસેમ્બરને રવિવારે સર્વજ્ઞાતિય ૧૧૦૦ કુંડી વૈદિક મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
આ મહાયજ્ઞ ગુજરાતમાં પ્રથમવાર થઈ રહ્યો છે. જેનું આયોજનઆર્યભુમી, એસપી રોડ, પ્રભુરત્ન પાર્ટી પ્લોટ પાછળ, મોરબી ખાતે કરાયું છે. આ યજ્ઞ સવારે ૭ કલાકે શરૂ થશે. ત્યારબાદ ધર્મસભા અને પ્રવચનનો કાર્યક્રમ યોજાશે. યજ્ઞ માટે ૨૬૦ કિલો દેશી ગાયનું ચોખ્ખું ઘી કચ્છથી મંગાવાયુ છે. આટલા મોટા પ્રમાણમાં ઘી હોમાવાથી વાતાવરણ શુદ્ધ થશે. ૧૦૦ ઔષધીઓ મળી ૩૨૫ કિલો હવન સામગ્રીનો ઉપયોગ થશે.૫ જાતની સમીધા ૨ ટન જેટલી વપરાશે. જેમાં આબો, ખીજડો, પીપળો, ખેર સહિતના લાકડાનો ઉપયોગ થશે.
આ યજ્ઞમાં બેસવા માટેનો કોઈ ચાર્જ નહિ હોય, ૧૦૦ જેટલા યજમાનો મોરબી બહારના હશે. આ સમગ્ર કાર્યક્રમ ૧૫ વિઘા જેટલી વિશાળ જગ્યામાં હશે. 6 જગ્યાએ પાર્કિંગ ગોઠવાશે. 12 હજાર લોકોનો મહાપ્રસાદ યોજાશે. આગલા દિવસે ધ્વજા રોહણનો કાર્યક્રમ પણ થશે. આ કાર્યક્રમમાં 300 સ્વયમ સેવકો ખડેપગે રહેવાના છે.
હાલ સમિતિના પ્રમુખ જેન્તીભાઈ રાજકોટિયા અને રામજીભાઈ બાવરવાના માર્ગદર્શન હેઠળ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ કાર્યક્રમમાં વૈદિક યજ્ઞ પ્રચાર સમિતિ, માતૃભૂમિ વંદના ટ્રસ્ટ, આર્યસમજ લખધીરવાસ, આર્યસમજ 3 હાટડી ટંકારા, આંતરરાષ્ટ્રીય ઉપદેશક મહાવિદ્યાલય ટ્રસ્ટ ટંકારા સહિતની સંસ્થાઓ સહયોગી બની છે.

