
મોરબી, ૨૯ માર્ચ
મોરબીમાં જિલ્લા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી.
આ બેઠકમાં જિલ્લા સંકલન સમિતિના વિવિધ પત્રકોની સમીક્ષા કરવામાં આવી હતી. ધારાસભ્યશ્રીઓ દ્વારા રાજકોટ – મોરબી રૂટમાં બસની સંખ્યા વધારવા સહિતના પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી. ઉપરાંત જિલ્લામાં કોઈ અધિકારીઓ નાંણાકીય ઉચાપાત ન કરે તથા સામાન્ય જનતાને કોઈ પણ પ્રકારની હેરાનગતિ ન થાય તે બાબત પર ભાર મૂકી અધિકારીઓ દ્વારા કામગીરી કરવામાં આવે તેવી રજૂઆત પદાધિકારીશ્રીઓ દ્વારા કલેક્ટરશ્રીને કરવામાં આવી હતી. ત્યારે જનહિત માટે રજૂ કરવામાં આવેલા પ્રશ્નો અન્વયે કાર્યક્ષમ કામગીરી કરવા જિલ્લા કલેક્ટરશ્રીએ વહીવટી તંત્રના તમામ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. વધુમાં તેમણે મચ્છુ-૨ ડેમના દરવાજા રીપેર કરવા બાબતે પણ સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી જરૂરી સૂચનો કર્યા હતા.
જિલ્લાના પદાધિકારીશ્રીઓએ મોરબીમાં મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમ અન્વયે કરવામાં આવેલી તૈયારીઓ અને ઉત્કૃષ્ટ કામગીરી બાબતે વહીવટી તંત્રને અભિનંદન પાઠવ્યા હતા. ઉપરાંત વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવતી પ્રજાહિત તેમજ જનકલ્યાણકારી કામગીરીની પણ સરાહના કરી હતી.
આ બેઠકમા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી હંસાબેન પારેઘી, ટંકારા-પડધરી ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયા, વાંકાનેર-કુવાડવા ધારાસભ્યશ્રી જીતુભાઈ સોમાણી, મોરબી-માળિયા ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.એસ.પ્રજાપતિ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી સમીર સારડા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એન.એસ. ગઢવી, પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, ચીફ ઓફીસરશ્રીઓ તથા વહીવટી તંત્રના વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

