
મોરબી:તા ૨૧ મોરબીના ગરબાના શોખીનો માટે ફરી એકવાર ઉમિયા નવરાત્રી મહોત્સવનું ભવ્ય થી દિવ્ય જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા પંદર વર્ષથી આયોજન ક૨તા સોળમાં વર્ષએ પણ આ મહોત્સવમાં આ વર્ષે પણ પરંપરા અને આધુનિકતાનું અનોખું મિશ્રણ જોવા મળશે
આયોજક દ્વારા જણાવ્યા પ્રમાણે, હજુ સંપૂર્ણ કામ પૂર્ણ થયું નથી પરંતુ ખેલૈયાઓને બધી જ વ્યવસ્થા તેમજ ક્વોલિટીવાળી સિસ્ટમ મળી રહે તેની પૂરી જવાબદારી લેવાઈ છે. તેમજ વિશેષ જણાવ્યું કે, ૨૦૧૦ થી શરૂ થયેલો આ મહોત્સવ ૨૬થી ૩૦ પાટીદાર યુવાનોની કમિટી દ્વારા ચલાવવામાં આવે છે. આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય પાટીદાર સમાજ અને અન્ય સમાજો માટે ગુણવત્તાસભર નવરાત્રીનું આયોજન કરવાનો છે.
તેમજ આયોજકોએ કહ્યું કે, આ મહોત્સવમાંથી થતી આવકનો ઉપયોગ પાટીદાર સમાજના સારા કાર્યો માટે કરવામાં આવશે. અત્યાર સુધીમાં પાટીદાર સમાજના વિવિધ કાર્યક્રમોમાં દાન આપવામાં આવ્યું છે. જેમાં મોરબી જિલ્લામાં ક્યાંય પણ પાટીદારની વાડી નિર્માણ થાય ત્યાં ૧,૫૧ લાખ અને અમદાવાદના પાટીદાર સંકુલ માટે રૂ. ૫૧ લાખનું દાન અપાયું છે. કોરોના કાળમાં પણ આયોજકોએ જરૂરિયાતમંદોને મદદ કરી હતી.
આયોજકના જણાવ્યા અનુસાર, આ મહોત્સવ ૨,૫ લાખ સ્ક્વેર ફૂટના વિશાળ ગ્રાઉન્ડમાં યોજાશે, જેમાં એકસાથે ૨૦,૦૦૦ ખેલૈયાઓ રમી શકશે. વરસાદને કારણે ગરબા અટકે નહીં તે માટે મુંબઈથી ખાસ વોટરપ્રૂફ સિસ્ટમ મંગાવવામાં આવી છે. આ ઉપરાંત, મુંબઈથી જ લાઈટ ડેકોરેશનની વ્યવસ્થા કરાઈ છે. ૫ લાખ સ્ક્વેર ફૂટના પાર્કિંગની સુવિધા પણ ઉપલબ્ધ છે, જેથી ખેલૈયાઓને ટ્રાફિક કે પાર્કિંગની સમસ્યા ન થાય. તેમજ કોઈપણ ખેલૈયા રોડ પર પાર્કિંગ ન કરે તેની પણ ખાસ તકેદારી રાખવામાં આવશે.
મહોત્સવમાં સાઉન્ડ સિસ્ટમ એવી રીતે ગોઠવવામાં આવી છે કે અવાજ માત્ર નિર્ધારિત વિસ્તારમાં જ રહે, જેથી રોડ પર કે આજુબાજુના વિસ્તારમાં રહેતા કે બહારના લોકોને ખલેલ ન પહોંચે. ખેલૈયાઓની સુરક્ષા માટે ગ્રાઉન્ડ પર મેડિકલ, એમ્બ્યુલન્સ, ઓક્સિજન અને ફાયરની સિસ્ટમ પણ તૈયાર છે. આ વર્ષે વિનાયક નાયક, પૂનમ ગઢવી, નરેશ વાઘેલા, અને ચૈતાલી છાયા તેમજ નવા કલાકાર તરીકે સુરતના બિનલ બાબરીયા જેવા લોકપ્રિય ગાયકો ગરબાની રમઝટ બોલાવશે, જ્યારે સુરભી પટેલ એન્કર તરીકે જવાબદારી સંભાળશે.
આયોજકોની આ વર્ષની સૌથી મોટી અને પ્રશંસનીય પહેલ એ છે કે તેમણે VIP કલ્ચરને દૂર કરી દીધું છે. હવે VIP અને સામાન્ય ખેલૈયાઓ માટે એક જ ગ્રાઉન્ડ અને એક જ વ્યવસ્થા રહેશે. આ ઉપરાંત, પાટીદાર સમાજ સાથે અન્ય જ્ઞાતિના પરિવારોને પણ
સહપરિવાર આવવા માટે આવકાર આપવામાં આવ્યો છે. સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા સાથે, આયોજકોએ સૌ ધર્મપ્રેમી જનતાને આ મહોત્સવમાં પધારવા અને સહયોગ આપવા આમંત્રણ પાઠવ્યું છે.


