
મોરબી:તા ૧૯ રાજ્યકક્ષાના મંત્રી બન્યા બાદ અમૃતિયા પ્રથમ પ્રવાસમાં કુળદેવીના દર્શન કરી વિવિધ સ્વાગત-અભિવાદન કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે
મોરબી: ગુજરાત રાજ્યના કેબિનેટ મંડળમાં તાજેતરમાં સમાવિષ્ટ થયેલા અને શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના રાજ્યકક્ષાના મંત્રી તરીકેના શપથ ગ્રહણ કરનાર કાંતિલાલ અમૃતિયા તેમના મંત્રી બન્યા પછીના પ્રથમ સત્તાવાર પ્રવાસ કાર્યક્રમ માટે તૈયાર છે. તેઓ સોમવાર, તારીખ 20/10/2025 ના રોજ ગાંધીનગરથી તેમના પ્રવાસની શરૂઆત ક૨શે. તેમજ મોરબીમાં તેમના ભવ્ય સ્વાગત અને કાર રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
પ્રવાસ કાર્યક્રમ મુજબ કાંતિલાલ અમૃતિયા સવારે 08:30 કલાકે ગાંધીનગરથી ચોટીલા જવા રવાના થશે અને 11:00 કલાકે ચોટીલા ખાતે તેઓ તેમના કુલદેવીના દર્શન કરીને આશીર્વાદ મેળવશે. ત્યારબાદ, તેઓ 12:45 કલાકે રાજસીતાપુર જવા રવાના થશે, જ્યાં તેઓ ગુરુજીના આશ્રમે જઈને તેમના આશીર્વાદ લેશે. ધાર્મિક મુલાકાત બાદ તેમના સ્વાગત અને અભિવાદન કાર્યક્રમો યોજાશે. બપોરે 01:45 કલાકે હળવદ ખાતે તેમનું સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ, 02:30 કલાકે તેઓ તેમના વતનના ગામ જેતપર (મ.) ખાતે પહોંચશે, જ્યાં સ્વાગત કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ 03:00 કલાકે જી.કે. હોટેલ ખાતે અને 03:30 કલાકે ભરતનગર ખાતે પણ સ્વાગત અને અભિવાદન કાર્યક્રમોનું આયોજન ક૨વામાં આવ્યું છે.
કાંતિલાલ અમૃતિયાના પ્રવાસ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ મોરબી ખાતેનું તેમનું આગમન છે. તેઓ મંત્રી બન્યા પછી પહેલીવાર મોરબી પધારી રહ્યા હોવાથી શહેરના લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બપોરે 04:00 કલાકથી સાંજના 06:00 કલાક સુધી મોરબી સર્કીટ હાઉસથી ભવ્ય કાર્યક્રમનો પ્રારંભ થશે. અહીંથી કાર રેલી સ્વરૂપે તેઓ મોરબી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરશે, જ્યાં તેમના સ્વાગત અને અભિવાદન કાર્યક્રમ યોજાશે. આ ભવ્ય સ્વાગત રેલી દ્વારા મોરબીવાસીઓ તેમના લાડીલા નેતાને શુભેચ્છાઓ પાઠવશે. કાર્યક્રમ પુર્ણ થયે કાંતિભાઈ તેમના નિવાસસ્થાને જવા રવાના થશે.


