ધ્રોલને પ્લાસ્ટિક મુક્ત કરવાનાં ઉદ્દેશથી
ધ્રોલ ગામના સફાઈ કર્મીઓ માટે ઇકોબ્રીક્સ બનાવટ સેમિનાર યોજાયો
ગુજકોસ્ટ-ગાંધીનગર પ્રેરીત અને શ્રી એમ.ડી.મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ-ધ્રોલ સંચાલિત શ્રી એમ.ડી.મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર,ધ્રોલ ,નગરપાલિકા ધ્રોલ અને પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિના સંયુક્ત ઉપક્રમે પોલીથીન થી થતા પ્રદુષણ અને ઇકોબ્રીક્સ વિષય પર સફાઈ કર્મચારીઓ માટે એક તાલીમી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પૂર્વ ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ભીમજીભાઈ મકવાણા, સંસ્થાના સેક્રેટરી શ્રી સુધાબેન ખંઢેરિયા, ચીફ ઓફિસર શ્રી ધર્મેન્દ્રભાઈ ગોહિલ. નગરપાલિકા પ્રમુખ શ્રી મનસુખભાઈ પરમાર અને શહેર ભાજપ પ્રમુખ શ્રી મગનભાઈ ભોજાણી હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં લગભગ સો જેટલા સફાઈ કર્મચારીઓ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરીને સામેલ થયા હતા. કાર્યક્રમની શરૂઆત તમામ મહાનુભાવો દ્વારા દીપપ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. સુધાબેન ખંઢેરિયા દ્વારા તમામને પ્લાસ્ટિક મુક્ત ધ્રોલ વિશે સંદેશ આપવામાં આવ્યો હતો. પૂર્વ ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડાએ જમીનને પ્લાસ્ટિક મુક્ત કરવા ઇકોબ્રીક્સ જેવા વિચારો અમલમાં મુકવા જરૂરી છે જણાવ્યું તેમજ તાલુકા પંચાયત, નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર દ્વારા પણ સૌને સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમના બીજા ભાગમાં લોકવિજ્ઞાનકેન્દ્ર ધ્રોલ નાં પ્રોગ્રામ ઓફિસર ડો.સંજય પંડ્યા દ્વારા વિશ્વમાં પ્લાસ્ટિક પ્રદુષણ અને તેનાથી થતા નુકસાન વિશે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત ઇકોબ્રીક્સ કઈ રીતે બનાવવી, ઇકોબ્રીક્સના ફાયદાઓ અને તેના ફાયદાઓ- તે બનાવવાના પગલા તેમજ સફાઈ કર્મચારીઓના સહયોગથી ઇકોબ્રીકસ બનાવવામાં પણ આવી હતી અને આ બનાવેલ ઇકોબ્રીકસને મહેમાનશ્રી ને ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. બજારમાં ફેકવામાં આવતી પ્લાસ્ટીકની કોથળીઓનો આપણે કેવીરીતે ઉપયોગ કરી શકીએ એ માટે પ્લાસ્ટીકની કોથળીમાંથી દોરી કઈ રીતે બનાવવી એ પણ સૌને શીખવવામાં આવ્યું હતું. તેમજ સફાઈ કર્મચારીઓને પ્લાસ્ટીકની બોટલમાંથી સાવરણી કઈરીતે બનાવવી એ પણ શીખવવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમની રજુઆતથી હાજર રહેલ મહેમાનો દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું કે જે કોઈપણ વ્યક્તિ ઇકોબ્રીક્સ બનાવી વિજ્ઞાન કેન્દ્ર અથવા તાલુકા પંચાયત કે પાલિકા પર જમા કરાવશે તેમાંથી શ્રેષ્ઠ ઇકોબ્રીક્સ બનાવનારને પ્રોત્સાહિત કરવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી હતી અને તમામ સફાઈ કર્મચારીઓને આ અભિયાનમાં જોડાવવા અપીલ કરવામાં આવી હતી કે જેનાથી પ્લાસ્ટિક દ્વારા થતા પ્રદુષણમાં ઘટાડો કરી શકાય. કાર્યક્રમની ઉદઘાટનવિધિનું સંચાલન કિરીટભાઈ ટંકારીયા અને સંકલન પર્યાવરણ ગતિવિધિ જામનગર નાં સંયોજક જયદીપભાઈ નિમાવત કરેલ. અને કાર્યક્રમની સફળતા બદલ સંસ્થાનાં ચેરમેનશ્રી હરસુખભાઇ મહેતા, ટ્રસ્ટીશ્રી ધર્મેશભાઈ મહેતાએ શુભેચ્છા પાઠવેલ છે….






