પતિ-પત્ની ઔર ના કિસ્સાનો કરુણ અંજામ : મૃતકની બહેને પત્ની અને તેના પ્રેમી સામે હત્યાની ફરિયાદ નોંધાવી
મોરબી : મોરબીમાં પત્નીએ પ્રેમી સાથે મળીને પતિને માર મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. એટલું જ નહીં પતિની હત્યા કર્યા બાદ પત્ની અને પ્રેમીએ તેની લાશને જમીનમાં ખાડો ખોદી દાટી દીધી હતી. જેમાં પત્નીએ તેના પ્રેમી સાથે ધર માંડીને રહેતી હોવાથી આ બાબતે થયેલા મનદુઃખનો ખાર રાખીને પત્ની અને તેના પ્રેમીએ પતિને ઘરે બોલાવીને હત્યા કરી નાંખયાનું ખુલ્યું છે. આ મૃતકની બહેને પત્ની અને તેના પ્રેમી સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી.
આ હત્યાના બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના કાંતિનગર ગામે જમીનમાં દાટી દીધેલી હાલતમાં એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવની જાણ થતાં બી ડિવિઝન પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈને યુવાનના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી આ બનાવ અંગે તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં મૃતક મોરબીના કબીર ટેકરી વિસ્તારમાં રહેતા શૈલેષભાઇ અંગેચણીયા હોવાની ઓળખ મળી હતી અને આ યુવાનની હત્યા થયાનું ખુલ્યું હતું. આથી, મૃતકના કબીર ટેકરી વિસ્તારમાં રહેતા બહેન સુનિતાબેન સંજયભાઈ કોળીએ આ હત્યાના બનાવની બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદમાં જણાવ્યા મુજબ મૃતક શૈલેષભાઇ અંગેચણીયાના પત્ની યાસ્મીનબેન ઉર્ફે આરતી શૈલેષભાઇ અંગેચણીયાને મોરબીના કાંતિનગર ગામે રહેતા જુમાં સાંજણ માજોઠી સાથે પ્રેમ સબંધ બધાયો હતો. આથી યાસ્મીનબેન ઉર્ફે આરતી શૈલેષભાઇ અંગેચણીયા તેમના પતિનું ઘર છોડીને જુમાં સાંજણ માજોઠી સાથે ઘર માંડીને રહેવા લાગ્યા હતા. આ બાબત તેના પતિ શૈલેષભાઈને મનદુઃખ લાગતા આ વાતનો ખાર રાખીને પત્નીએ તેમને ગત તા.27 ના રોજ કાંતિનગર ગામે રહેતા જુમાં સાંજણ માજોઠીના ઘરે બોલાવ્યા હતા. જ્યાં દગો કરીને પત્ની યાસ્મીનબેન અને તેના પ્રેમી જુમાં સાંજણ માજોઠીએ સાથે મળીને પતિ શૈલેષભાઈને માર મારીને હત્યા કરી નાખી હતી અને તેમની લાશને જુમાં સાંજણ માજોઠીના ઘર પાછળ જમીનમાં ખાડો ખોદીને દાટી દીધી હતી. બી ડિવિઝન પોલીસે આ બનાબની ફરિયાદના આધારે પત્ની અને પ્રેમી સામે હત્યાનો ગુનો નોંધી આ બન્ને આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
