
મોરબી : મોરબી – માળીયા (મીં.)ના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ મોરબી પંથકની જે-તે વખતની કોરોના મહામારી વખતે દર્દીઓને ઉપયોગી થવાય તે હેતુસર રૂ. ૨૫ લાખની પોતાની ગ્રાન્ટ તા. ૦૮.૦૪.૨૦૨૧ ના પત્રથી ફાળવેલી ત્યારબાદ વધુ રૂ. ૨૫ લાખ પણ આ હેતુ માટે તા. ૧૩.૦૫.૨૦૨૧ના પત્રથી ફાળવેલી.
હવે જ્યારે કોરોનાનું સંક્રમણ ઘટી ગયું છે પરંતુ ન કરે નારાયણ અને જો કોરોનાની ત્રીજી લહેર આવે તો તેને પંહોચી વળવા અને તેમાં પણ ખાસ કરીને બાળકો કોરોના સંક્રમણનો વધુ ભોગ બનશે એવી દહેશત સેવાઈ રહી છે.
આ બધી સ્થિતિ જોતાં ધારાસભ્યએ પોતાની ગ્રાન્ટમાંથી બાકી રહેતી રૂ. ૧ કરોડની ગ્રાન્ટ પણ આરોગ્ય હેતુ માટે કલેક્ટરને હવાલે મૂકી છે. જેમાથી મોરબી સિવિલ હોસ્પીટલ માટે ખાસ આઈ.સી.યુ ઓન વ્હીલ એમ્બ્યુલન્સ પણ ખરીદાશે.
જેથી, ગંભીર દર્દીઓને રાજકોટ, જામનગર કે અમદાવાદ રિફર કરવાના થાય ત્યારે આવી ઓક્સિજન અને આઈ.સી.યુ.ની સુવિધા સાથેની એમ્બ્યુલન્સની મોરબીના દર્દીઓના હિતમાં ખાસ જરૂર જણાતા ગ્રાન્ટ ફાળવી છે.
તેમજ મોરબી સિવિલ હોસ્પીટલમાં બાળકો માટે પાંચ વેન્ટિલેટર, લિક્વિડ ઓક્સિજન ટેન્ક, ડ્યુરા ઓક્સિજન સિલિન્ડર (લિક્વિડ ઓક્સિજન સિલિન્ડર) ૧૦ નંગ, જમ્બો ડી ટાઈપ ઓક્સિજન સિલિન્ડર નંગ ૧૦૦ પણ આ ગ્રાન્ટમાંથી લેવામાં આવશે.
