
કોરોનાની બીજી લહેર વખતે સરકારશ્રી તરફથી લોકડાઉન કરવામાં આવ્યું. ત્યારથી એટલે કે છેલ્લા એક મહિનાથી મોરબી જિલ્લાના તમામ ઇ-ધરા કેન્દ્રોની ઓનલાઈન અરજી સિવાયની તમામ કામગીરી બંધ છે. તેમજ 7/12 કાઢવાની કામગીરી પણ બંધ છે. જે બાબતે તા. 31/5/2021 સુધી આ કામગીરી બંધ રહેવા કલેકટર કચેરી, મોરબી દ્વારા પરિપત્ર થયેલ છે. પરંતુ સબ રજીસ્ટાર કચેરીમાં 50% દસ્તાવેજની કામગીરીના નિર્ણયમાં હવે ફેરફાર કરી 100 ટકા દસ્તાવેજો થઈ શકશે તેવો નિર્ણય લેવાયો છે અને તા. 21/5/2021 થી વેપાર-ધંધા માટે પણ આંશિક છૂટ જાહેર થયેલ છે. પરંતુ ખેડૂતોને પાક ધિરાણ મેળવવામાં ના આ સમય ગાળામાં 7/12 મેળવવા માટે કચેરી બંધ હોય ખેડૂતોને હેરાન થવું પડે છે અને દસ્તાવેજ થયા બાદ એન્ટ્રીની કામગીરી બંધ હોય લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેમજ કલમ-54(ક) ની મંજૂરી બાદના વેચાણ દસ્તાવેજની એંટ્રી પડતી ન હોય બિનખેતી ન થવા ને લીધે ઉદ્યોગપતિઓ ના પ્રોજેક્ટ અટકી ગયેલ છે.
આથી ઇ-ધરા કેન્દ્રમાં તમામ અરજી સ્વીકારવાની અને 7/12 મળવાની કામગીરી વકીલો, ખેડૂતો, ઉદ્યોગપતિઓ અને જાહેર જનતાના હિતમાં સત્વરે શરૂ કરવા જરૂરી પરિપત્ર કરવા રેવન્યુ બાર એસોસિએશન, મોરબી દ્વારા માંગ કરવામાં આવેલ છે.
