*અહેવાલ અને તસ્વીર આરીફ દિવાન* માંગરોળ તા.24/9/2021
જુનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમા મામલતદાર ઓફીસમા ચાલતી દાદાગીરી અને બળજબરી સામે કલેક્ટર ને ફરિયાદ કરવામા આવેલ છે.
જાણવા મળેલ વિગતો મુજબ માંગરોળ મામલતદાર કચેરીએ આવકના દાખલાઓ કઢાવવા લોકોની ભીડ રહેતી હોય છે. આ દાખલાઓ કઢાવવા જતા લોકોને હાલાકીનો ભોગ બનવું પડે છે,તેમજ અમૂક કેસો મા અધિકારીઓ દ્વારા કોઈ પણ જાતની ખરાઈ કર્યા વગર વર્ષે રુપિયા 65000/= આવક ધરાવતા અરજદાર લોકોને પણ એક લાખ થી ઉપરના આવકના દાખલાઓ પકડાવી દેવાની ફરિયાદ ઉઠવા પામી છે. આજથી 2 દિવસ અગાઉ તો અરજદારો સવારના 11 વાગ્યાના લાઈનમા બેઠા હતા છતાં દાખલાઓ કાઢી આપનારા જવાબદાર તલાટીઓ જ હાજર ના હતા. મામલતદાર ને ટેલીફોનીક ફરિયાદ બાદ તેઓ બપોરે 12 કલાકે હાજર થયા પરંતુ કામ ના આળસુ અને વારંવાર મોડા આવતા આ અધિકારીઓ એ લોકોના આવકના દાખલા કાઢવામા વગર કોઈ ખરાઈ કર્યે પોતે ધારેલી રકમો લખીને આવકના દાખલાઓ પધરાવી દેતાં અરજદારોએ હોબાળો કર્યો હતો અને સ્થાનિક આગેવાનોને આ સમસ્યા બાબતે ફોન કર્યા હતા.
તા.23/9/21ના રોજ એક વિધવા મહિલાના આવકના દાખલામા પોતાની મરજીથી રુપિયા 85000/= નો આવકનો દાખલો પધરાવતાં ફરી અરજદારો દ્વારા ફરિયાદ કરાતાં સ્થળ ઉપર હાજર મામલતદાર તથા તલાટીઓ અને સ્ટાફે એક સ્થાનિક મહિલા સોશિયલ વર્કર બહેનનુ જાહેરમા અપમાન કરી અણછાજયા શબ્દો કહી અને એક જાતિ વિશેષ બાબતે ખરાબ ઉચ્ચારણો કરવામા આવ્યાં હતાં અને અંદર કરાવી દેવાની ધમકીઓ આપવામા આવી હતી. આ હકીકત ની જાણ એ.આઈ.એમ.આઈ.એમ.ના જુનાગઢ જિલ્લાના પ્રમુખ સુલેમાનભાઈ પટેલને થતાં તેઓએ આ ઘટનાને ગંભીરતાથી લઈ વારંવાર ગેરહાજર રહેતા અને અરજદારો સામે દાદાગીરી કરતા મામલતદાર ઓફિસના જવાબદાર અધિકારીઓ સામે અને સ્ટાફ સામે તપાસ કરી પગલા લેવા અને આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે જિલ્લા કલેક્ટર જુનાગઢ તથા રેવન્યુ મંત્રી ગાંધીનગરને લેખિત ફરિયાદ કરી છે
