કોડીનાર તાલુકાના શિંગોડા નદીમાં ભર ઉનાળે પૂર આવ્યું છે. ગીર સોમનાથ જિલ્લામાં ગીર જંગલ વિસ્તારમાં આવેલા શિંગોડા ડેમના દરવાજા ખેડૂતો માટે ખોલવામાં આવતા ભર ઉનાળે શિંગોડા નદીમાં પુર આવ્યું છે.
જામવાળા અને કોડીનારમાં વહેતી શિંગોડા નદી લાંબા સમયથી પાણી વિના ખાલીખમ હતી અને આજે તેમાં નવા નીર આવતા લોકો આ નજારો જોવા મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. શિંગોડા નદી પર આવેલા કોડીનાર બ્રિજ પર મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને નદીના પાણીને એકીટશે જોઈ રહ્યાં હતા.
જોરદાર તાપ અને ગરમી વચ્ચે હવે ખેડૂતોના કુવાઓમાં પાણીના તળ નીચે ગયા છે કુવાના પાણી તળિયા જાટક થતા ખેડૂતો પોતાના પાકોને બચાવવા શિંગોડા ડેમ તરફ મીટ માંડી બેઠા હતા. આવામાં ડેમનું પાણી છોડવામાં આવે તો તેમના બળી રહેલા પાકને નવું જીવન મળે. આખરે ખેડૂતોની માંગને ધ્યાને રાખી શિંગોડા ડેમના દરવાજા ખેડૂતો માટે ખોલી દેવાયા છે. જેને કારણે કોડીનારની સૂકી બનેલી શિંગોડા નદી ફરી એક વખત વહેતી થઈ છે.
સામાન્ય રીતે ચોમાસામાં નદી વહેતી હોય છે પરંતુ આ વર્ષે ઉનાળામાં ડેમમાંથી પુષ્કળ પ્રમાણમાં પાણી છોડવામાં આવતા ભર ઉનાળે આ નદી વહેતી થઈ છે. જેનો સીધોજ લાભ 20 થીવધુ ગામોના ખડૂતોને થશે. એટલું જ નહીં, ગ્રામ્ય વિસ્તારોની પીવાના પાણીની સમસ્યા પણ હલ થશે.
*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*
