• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી અમૃતિયા પરિવાર દ્વારા ચાલતી શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞના છઠ્ઠા દિવસની કથાનો સાર*

શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ મોરબી

 

છઠ્ઠા દિવસની કથાનો સાર.

 

મોરબીના આંગણે ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા દ્વાર, શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ, આજે છઠ્ઠા દિવસ માં પ્રવેશ કરી રહ્યો છે. ત્યારે સમગ્ર મોરબીની જનતાને, આ મહા જ્ઞાનરૂપી મહીસાગરનો, જે અલભ્ય અમૃત પાન કરાવ્યો, અને જેવો આ પરમ પુણ્ય કાર્યના નિમિત્ત બન્યા, તેવા પૂર્વ ધારાસભ્ય શ્રી કાંતિલાલભાઈ અમૃતિયા, તેમજ અમૃતિયા પરિવાર નો, અંતઃકરણપૂર્વક આભાર, સમગ્ર મોરબી જિલ્લાની જનતા માની રહી છે.

કારણ કે પોતાના પરિવારના પિતૃઓના મોક્ષને અર્થે તો, અનેકવિધ કાર્યો, સૌ કોઈ કરતા હોય છે. પરંતુ જાહેર જીવનમાં, અઢારે વર્ણના, તમામ બાવને જ્ઞાતિના પિતૃઓના, દિવંગતોના અને અકાળે કોરોનામાં મૃત્યુ પામેલા, જીવાત્માઓના મોક્ષને અર્થે, તેમજ મોરબીને, મહા મોરબી બનાવવામાં, જેમનો સિંહ ફાળો રહ્યો છે. તેવા મહાપુરુષોના સ્મરણમાં, શ્રદ્ધાંજલિ સ્વરૂપે, આ કથા મોરબી ને પ્રાપ્ત થઈ છે. જે ખૂબ મોટી વાત કહેવાય.

કેમકે વિશ્વ વંદનીય, વિશ્વ વિભૂતિ એવા ભાઈશ્રીની વાણીનો લાભ પ્રાપ્ત થવો, તે વૈકુંઠની કથાના લાભ જેવો લાભ છે. તેવું કથા સમિતિના પ્રેસ મીડિયા વિભાગના પ્રભારી વિજયભાઈ લોખીલ વિજયશ્રી દ્વારા અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે. અને છઠ્ઠા દિવસની કથાના પ્રારંભે ભાઈશ્રી કથાના પ્રવાહને આગળ વધારતા કહે છે કે,

 

ભગવાન તો સર્વત્ર છે. અને સર્વદા છે. કોઈ તત્વ એસા નહીં, જિસમેં પરમાત્મા તત્વ ન હો. કોઈ ક્ષણ એસા નહીં, જબ પરમાત્મા ન હો. માટે જ એ તત્વને વ્યાપક કહે છે. વ્યાપક એટલે ??? જેનો કોઈપણ સ્થળે, કોઈપણ કાળે, અભાવ નથી તે. પરંતુ એ પરમાત્મા સર્વત્ર, અને સર્વદા હોવા છતાં, જ્યારે પ્રગટ થાય. ત્યારે તેનો મહિમા વિશેષ છે. ભગવાન એ અવતાર કાર્યનું અને સમસ્યાનું વિશિષ્ટ રૂપે સમાધાન કરે છે.

દાખલા તરીકે કાસ્ટમાં અગ્નિ તો છેજ. પરંતુ કાસ્ટમાં રહેલો અગ્નિ જ્યાં સુધી અપ્રગટ રહેશે, ત્યાં સુધી આપણી રસોઈ નહીં પાકે. અને શિયાળાની ઠંડી, ત્યાં સુધી નહીં ઉડે. કાસ્ટમાં રહેલા અગ્નિને પ્રગટ કરવો પડે. દૂધમાં ઘી છે તે હકીકત છે. તેનો કોઈ ઇનકાર નહીં કરી શકે. અને દૂધના કણ-કણમાં ઘી છે. પણ દૂધથી દીવો નહીં બળે. એ પણ હકીકત છે. દીવો પ્રગટ કરવો હોય, તો એ ઉદ્દેશ્યની પૂર્તિ માટે, દૂધમાં રહેલા ઘી ને પ્રગટ કરવું પડે. એમ પરમાત્મા સર્વત્ર છે. સર્વદા છે. વ્યાપક છે. એ હકીકત છે. ભગવાન વિરાગી છે. દ્રષ્ટા છે. સાક્ષી છે. એ તટસ્થ છે. છતાં આપણે તેને પોકાર કરીને, ભક્તિ કરીને, ભજન કરીને, પ્રગટ કરવા પડે છે.

કેમ કે અધર્મના નાશ માટે ભગવાન પૃથ્વી પર આવે છે. ત્યારે તેઓ સૌથી પહેલા એવું કહે છે કે “પરીત્રાણાય સાધુ નામ” સાધુના પરિત્રાણ માટે હું પૃથ્વી ઉપર આવ્યો છું એવું છે.

ભગવાન શિવ જેવો વૈષ્ણવ બીજો નથી. તેમ ભગવાન વિષ્ણુ જેવો શૈવ બીજો નથી. બંનેનો પરસ્પર સંબંધ, બંનેની લીલા, જેને સમજાય, તે બધી જ ભેદરેખાઓ, અને સંકિર્ણતામાંથી મુક્ત થઈ જાય. બંને અરસપરસ પગે લાગે. પ્રણામ કરે. એ અરસપરસનો પ્રેમ છે. નારાયણને સુદર્શન ચક્ર મળે શિવજીની આરાધનાથી. ભગવાન વિષ્ણુ શિવની પૂજા કરતી વખતે, એક કમળ ઓછું પડે, ત્યારે પોતાના નેત્ર કમળને અર્પણ કરી દે. આ બંનેનો પરસ્પર નો પ્રેમ દર્શાવે છે.

હું અને આપણા અહીંના એક મહાપુરુષ બંને વિદેશમાં ગયા હતા. અને પ્રથમ વખત સાથે જઈ રહ્યા હતા. અને સામે જે યજમાન હતા, તે પણ અમને પ્રથમ વખત રિસીવ કરી રહ્યા હતા. અને અમારે તેમને ત્યાં રોકાવાનું હતું. ત્યાં પહોંચ્યા ત્યારે, હું સ્નાન કરવા માટે ગયો. ત્યારે પાછળથી જે, મારી સાથે મહાપુરુષ આવેલા હતા. તેમણે એ જમાનાને પૂછ્યું કે, ભાઈશ્રીનો “નિજ ખંડ” ભાઈશ્રીનો રૂમ કયો છે ??? ત્યારે યજમાને પૂછ્યું કે આપ શ્રી કોણ ??? તો એમણે કહ્યું કે, પૂજ્ય ભાઈશ્રીના હું સેક્રેટરી છું. અને ત્યારે ઓલા જમાનાને એમ થયું કે, આવડા મોટા મહાત્મા, ભાઈશ્રીના સેક્રેટરી ??? અને પછી સ્નાન કરીને હું જેવો બહાર આવ્યો. ત્યારે મારી સાથે આવેલા મહાપુરુષ સ્નાન કરવા માટે ગયા. અને તેઓ સ્નાન કરવા ગયા, તેના પહેલા, એકદમ વ્યવસ્થિત સરસ મજાનો રૂમ હતો, એ મારા માટે વ્યવસ્થિત કરીને, નક્કી કરીને ગયા હતા. અને એ જેવા સ્નાન કરવા ગયા કે, તરત યજમાન અંદરના રૂમમાંથી બહાર આવ્યા કે, આપ સ્નાન કરવા ગયા, ત્યારે આપના સેક્રેટરીએ આપના માટે આ રૂમ નક્કી કર્યો છે. જે ખૂબ જ સરસ છે. ત્યારે મેં કહ્યું કે, કોણ મારા સેક્રેટરી ??? અત્યારે મારી સાથે કોઈ સેક્રેટરી તો આવ્યા જ નથી. ત્યારે એમણે કહ્યું કે, આપની સાથે જે એરપોર્ટથી હું લાવ્યો હતો, તે મહાત્માજી આપના સેક્રેટરી. ત્યારે મેં કહ્યું કે, અરે મારા બાપ. હું એને પગે લાગું છું. ત્યારે એ યજમાને મને કહ્યું કે, “નહીં નહીં ઉન્હોને સામને સે કહા કી ભાઈશ્રી કે હમ સેક્રેટરી હૈ” ત્યારે મેં કહ્યું કે, એ તેમનો પ્રેમ છે. તેમની સરળતા છે. એ કાંઈ મારા સેક્રેટરી નથી. હું તેમને પગે લાગું છું. એ સ્વામીજી છે. પણ આવું કરવા પાછળ તેમનો પ્રેમ હતો. શિવ અને નારાયણનો આવો પરસ્પર પ્રેમ છે. શિવ એમ કહેતા હોય છે કે, હું નારાયણનો સેવક છું. શિષ્ય છું. ભક્ત છું. શિવ એમ કહે પણ છે, માને પણ છે, અને પૂજે પણ છે. પણ આપણે સમજવામાં ભૂલ કરી બેસીએ. તયારે તો નારાયણ પણ ખીજાય કે, એ ભાઈ હું એમને પગે લાગું છું. હું એ શિવની આરાધના કરું છું. કમળ પૂજામાં જ્યારે કમળ ઓછું પડે, ત્યારે હું મારું નેત્ર કમળ તેમને સોંપી દઉં છું. એમ પરસ્પર બંને એકબીજાની આરાધના કરે છે. મારે મારી સાથે આવેલા એ મહાત્માજીનું નામ નથી લેવું. નહીંતર તમને ખબર પડી જશે. પરંતુ એ તેમનો મારા પ્રત્યેનો પ્રેમ હતો. જેમ તેમનો મારા પ્રત્યે પ્રેમ છે. તે રીતે એમજ આ શિવ અને વિષ્ણુનો પરસ્પર પ્રેમ છે.

નહીંતર હું સફેદ કપડા વાળો, અને તેઓ ભગવા કપડાવાળા. પણ છતાં હું ભાઈશ્રીનો સેક્રેટરી છું. એવું કહેવું, તે પ્રેમ વિના અને સરળતા વિના ન થાય. નારાયણ અને શિવના સબંધ આવા છે. આપણને આમ જીવતા ન આવડે ??? આપણે પણ આપણા જીવનમાં, પરસ્પર એકબીજાની ગરીમાં સાચવવી જોઈએ. મર્યાદા સાચવવી જોઈએ. એકબીજાને માન સન્માન આપવું જોઈએ. જ્યારે મેં એવું કહ્યું કે, સ્વામીજી આપે એવું ન કહેવું જોઈએ. આવું આપ શા માટે બોલ્યા ??? ત્યારે સ્વામીજીએ કહ્યું કે, “પ્રભુજી યહ લોગ યહી ભાષા સમજતે હૈ. ઇસ લિયે ઇસી ભાષામેં સમજાના પડતા હૈ”

વર્ષો પહેલાંની વાત છે. જ્યારે મારા માતૃશ્રી અમારા મુંબઈ વ્હળા નિવાસ સ્થાને રહેતા હતા. ત્યારે મુંબઈમાં અમારા ઘરે, એક ભાઈ મળવા માટે આવ્યા. ત્યારે મારા માતૃશ્રીએ ઊભા થઈને દરવાજો ખોલ્યો. અને કહ્યું આવ મારા બાપ આવ. ભાઈ બેઠા અને મારા માતૃશ્રીને પૂછ્યું કે, ભાઈ શ્રી જ્યારે જ્યારે અહીં આવે છે. ત્યારે આપને ત્યાં ઉતરે છે ??? અહીં ઉતારો કરે છે ??? મારા માં એવું કહે છે કે, હા ભાઈ. અહીં દર વખતે ઉતરે છે. અને રોકાણ કરે છે. થોડીવાર પછી હું બહાર આવ્યો. ત્યારે વાતો વાતોમાં એ ભાઈ ને ખબર પડી ગઈ કે, આ મારું જ ઘર છે. અને આ મારા માતૃશ્રી છે. ત્યારે એ ભાઈ ઉભા થઈ ગયા. સારા માતૃશ્રીને કહે કે માફ કરજો, મને ખબર ન હતી. મેં આપને પૂછ્યું. પરંતુ આપને તો મને સાચું કહેવું જોઈતું હતું કે, ભાઈશ્રી અહીં ઉતરતા નથી. પરંતુ આ ભાઈશ્રીનું જ ઘર છે. અને હું તેની માં છું. અને મારા બા કહે છે કે, ભાઈ આમ તો ભગવાને, એને એવી સેવામાં લગાડ્યા છે કે, તે હંમેશા આ ગામ અને ઓલા ગામ, આ દેશ અને વિદેશ ફરતા જ રહે છે. અને જ્યારે મુંબઈ આવે, ત્યારે અહીં જ ઉતરે છે. એટલે અમે સાચું જ બોલતા હતા. એટલે જ મેં એમ જ કહ્યું કે, સાચું ભાઈ અહીં જ ઉતરે છે. અને અહીં જ રોકાય છે. એને મનતો વિશ્વ આખું પોતાનું ઘર છે. તેને જ્યાં મજા પડે, ત્યાં જાય. અને જ્યાં મજા પડે. ત્યાં રોકાય. આ બધી પ્રેમની વાત છે.

પરંતુ આપણે, આ બધી વાતોનો જો સંકીર્ણ અર્થ કરી નાખીએ તે કેમ ચાલે. અને ભગવાન નારાયણનો શિવ પ્રત્યેનો પ્રેમ અને શિવનો નારાયણ પ્રત્યેનો પ્રેમ કેવો છે ??? શિવપુરાણ વાંચો, તો જુદુ દર્શન થશે. વિષ્ણુ પુરાણ વાંચશો, તો જુદુ દર્શન થશે. દેવી ભાગવત વાંચશો, તો જુદુ દર્શન થશે. તમને થશે કે આ બધું વ્યાસજીએ જ લખ્યું હશે. અને જો લખ્યું હશે, તો આ બધું જુદું જુદું કેમ ???

એ જ તો મુખ્ય વાત છે. જેમકે તત્વ મૂળતઃ એક જ છે. સૌની રુચિ ભિન્ન ભિન્ન છે. એક જ તત્વના, તમે જુદી જુદી રીતે દર્શન કરો છો. એની આરાધના, એની ઉપાસના, એ આપ સૌને પ્રસંગ ખબર છે કે, બાલ શ્રીકૃષ્ણના દર્શન કરવા માટે ભગવાન શિવ પોતે આવે છે. અને પરમ પ્રસન્ન બની. અને પછી શિવલોક જાય છે.

સંતો જ્ઞાનીઓ કેવલ જ્ઞાનને પ્રાપ્ત કરેલા હોય છે. શ્રીમદ્ રાજચંદ્રજીનું શરીર જુઓ. તપશ્ચર્યા કરી કરીને શરીર દુબળું પાતળું કરી નાખેલું. કેવા આત્મજ્ઞાનને પ્રાપ્ત કરેલા મહાપુરુષ. ગાંધીજીને પણ તેમના દ્વારા માર્ગદર્શન પ્રાપ્ત થયેલું. જે વવાણીયા ગામના વતની છે. જે અહીં બાજુમાં જ આવેલ છે. શ્રીમદ્ રાજચંદ્ર સાયલામાં પણ એક વર્ષ રહ્યા. અને સાયલામાં પણ શ્રીમદ્જીની સ્મૃતિ સ્વરૂપે એક સ્થાન તૈયાર કરવામાં આવેલ છે. હું ત્યાં ગયેલો છું. અને રોકાયેલો છું.

ભિક્ષાની જરૂર પડે, પાણી પીવાની જરૂર પડે. મહારાજ કંસને કર ચુકવવો પડે. એટલે ઘણા મહાપુરુષો જ્યારે જમવા બેસે ત્યારે એમ કહે કે, ચાલો આ દેહેરૂપી રાજ્યને કર આપી દઈએ. ટેક્સ ચૂકવી દઈએ. હવે જ્યારે કર ચૂકવવાની વાત આવે, ત્યારે તમને હિસાબ કિતાબ કરીને કોઈ એવું કહે કે, તમારે આટલો ટેક્સ ચૂકવવાનો છે. ત્યારે તમે એટલા જ ટેક્સની રકમ ચૂકવો છો ને ??? કે વધારે ચૂકવો છો ??? ઊલટાના આપણે આપણા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને કહીએ છીએ કે, આમાં જોજોને હજુ પણ ક્યાંથી ટેક્સ બચતો હોય તો. બચાવી લેજો. ટેક્સ બચાવવાનો નાગરિકને અધિકાર છે. ટેક્સેસનનું એક માળખું છે. અને તે અન્વયે જ્યાં પણ ટેક્સ બચતો હોય, તે નાગરિક બચાવી શકે છે. પરંતુ ટેક્સ તો ભરવો પડે જ છે. એમ શરીરને ભોજન આપવું, તે તેનો ટેક્સ ભરવા બરાબર છે. બે રોટલી થી જો પૂરું થઈ જતું હોય, તો શા માટે ઠાંસી ઠાંસીને પેટ ભરીને ખાવાનું ??? આ શરીરને ભરવો પડતો ટેક્સ, બચે એટલો બચાવો. અને આવશ્યકતા કરતા અધિક શા માટે ભરવો ??? અને એ હકીકત આપ સૌને ધ્યાને હશે કે, જેટલા લોકો ભૂખના કારણે નથી મરતા. એનાથી વધુ લોકો ખાઈ-ખાઈને મરે છે.

મારા પૂજ્ય પિતાજી, જ્યારે મુંબઈથી પરત આવતા. ત્યારે અમે ગામડામાં, ખાટલા ઓ ઢાળીને, ફળિયામાં બેસતા. અને ત્યારે મારા પિતાજી શ્રીમદ્જીના પદો ગાતા. ત્યારે મેં સાંભળેલા છે. એ અવાજ હજી કાનમાં ગુંજી રહ્યો છે.

 

“અપૂર્વ અવસર એવો ક્યારે આવશે,

ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રહ જો”

 

અને એ શ્રીમદ્જી જ્યારે આ શરીરની નિવૃત્તિના આરે જાય, ત્યારે કરોડપતિ પરિવારમાં ઉછરેલા, તેઓ જૈન ધર્મની ભિક્ષા લઈ લે છે. અને હીરાઓ, માણેક, રૂપિયા આમ-તેમ ઉડાડી દે છે. બધુ જ પ્રજાને સોપી દે છે. એક રાજાની જેમ. આ કેવી ઉત્તમ વાત ગણાય કે, અબજોપતિઓ બધું છોડીને સાધુ થઈ જાય.

જો કુટુંબનું ભલું થતું હોય, તો કુટુંબના એક સભ્ય એ પોતાના સ્વાર્થનો ત્યાગ કરવો. ગામનું ભલું થતું હોય, તો પરિવારે પોતાનો સ્વાર્થ જતો કરવો, સમગ્ર જિલ્લાનું ભલું થતું હોય, તો ગામે પોતાના સ્વાર્થ ને જતો કરવો. જો રાજ્યનું ભલું થતું હોય, તો જિલ્લાએ પોતાના સ્વાર્થ જતા કરવા. જો સમગ્ર રાષ્ટ્રનું ભલું થતું હોય, તો રાજ્યએ પોતાના સ્વાર્થનો ત્યાગ કરવો. અને વિશ્વનું ભલું થતું હોય, વિશ્વનું કલ્યાણ થતું હોય, તો રાષ્ટ્રોએ, પોતાના સ્વાર્થો જતા કરવા. પોતાના લાભો ને છોડવા. અને આત્માના કલ્યાણ માટે પૃથ્વીનો ત્યાગ કરવો. પૃથ્વીના સમસ્ત સુખોનો ત્યાગ કરી દેવો.

અને અમુકને ત્યાં તો, જમવામાં સત્તર વાના પીરસાતા હોય. અને ચાર ચાર જણા પીરસનારા હોય. એવા પરિવારના યુવાનો સાધુ થાય, પછી પાંચ ઘરની ભિક્ષા માંગીને ખાય. કેટલી મોટી વાત કહેવાય. “કિસી બડે કી ખોજ મેં નિકલ પડતા હૈ, આદમી” કેમકે આ સંસારિક સુખો, શાંતિ આપી શક્યા નહીં. અંદરનો આનંદ, આપી શક્યા નહીં. જ્યાં ત્યાગ છે. ત્યાં શાંતિ છે.

પરંતુ કૃષ્ણના પ્રાગટ્ય પછી અને પરમ તત્વની અનુભૂતિ પછી. નંદ હોય, આનંદ હોય, ઉત્સવ હોય, તોપણ સમયે સમયે કંસને કર તો આવવો જ પડે. ટેક્ષ ચુકવવો જ પડે. શરીર છે, ત્યાં સુધી શરીરને ટકાવવા માટે, ભિક્ષા, અન્ન, નિંદ્રા આ બધાની જરૂર છે. શરીરને ટકાવી રાખવા માટે, પરમહંસોને પણ જેટલા આવશ્યક હોય તેટલા કર્મ કરવા પડે.

પૈસા કમાવવાનું જરૂરી છે. પણ પૈસાની પાછળ એટલા બધા પણ ન ભાગો કે, તમને રોટલો ખાવાનો પણ ટાઈમ ન મળે. રોટલા માટે તો આ બધું કરો છો. થોડો આરામ પણ કરવો જોઈએ. અને ક્યારેક કારખાને હોઈએ, કામના ભારણથી મોડા ઘરે જઈએ, અને મા કહે કે, બેટા કેમ મોડો ??? ત્યા કંઈક સમસ્યા થઈ હતી. અને ત્યાં જ માં એમ કહે કે, ઉપરવાળો બેટા, ચિંતા ના કરતો. બધું સારાવાના કરશે. દ્વારકાનાથ બધું સારું કરશે. ભગવાન સ્વામિનારાયણ બધું સારું કરશે. ધજા વાળો રામદેવપીર બધું સારું કરશે. માના પ્રેમમાં શ્રદ્ધાની વાત છે.

 

“મોઢેથી બોલું માં,

ત્યાં તો મને સાચે બાળપણ સાંભરે, મોટપની મજા પછી કડવી લાગે કાગડા”

 

“તુ કિતની અચ્છી હૈ,

તુ કીતની ભોલી હૈ,

ઓ માં, ઓ માં…… પ્યારી માં…,

યે રાસ્તે કાટો કે, તું ફૂલવારી હૈ,

ઓ મા, ઓ માં,

માં બચ્ચો કી જાન હોતી હૈ,

વો હોતે હૈ કિસ્મત વાલે,

જીનકી માં હોતી હૈ,

તું કિતની સુંદર હૈ, તું કિતની શીતલ હૈ, પ્યારી પ્યારી હૈ, ઓ મા… ઓ મા…..

 

માં વીસ-બાવીસ વર્ષની હોય કે, માં નેવું વર્ષની હોય. માને વય નથી હોતી. માને વાત્સલ્ય હોય છે. મહત્વ વાત્સલ્યનું છે. જ્યારે ઓગણીસ-વીસ વર્ષની માં હોય, અને પોતાનું બાળક બીમાર પડે, માંદુ પડે, દવાખાને ધોડે. અરે પોતાના નાનકડા બાળકને માટે દીપડાની સાથે બાથ ભીડે, તેનું નામ માં….. સમય કાઢીને માની પાસે બેસવું. થોડી વાતો કરવી. એ રાજી થાય. પછી એ માં પોતે જ તમને કહે છે કે, બેટા હવે તું આરામ કરી લે. તું થાક્યો હોઈશ. સંતાન માટે ચિંતા કરવા વાળી. સંતાનના ભલાનું જ ચિંતન કરવાવાળી માં જેવી હસ્તી દુનિયામાં બીજી કોણ છે ??? અને એટલે જ કહે છે કે…….

ભગવાનને એક માં માંથી ધરો ન થયો. એટલે ત્રણ-ત્રણ માં યશોદા, દેવકી, રોહિણી ત્રણ માં છે. રામને કૌશલ્યા, સુમિત્રા, કૈકૈઈ ત્રણ માં છે. જેટલા ભગવાન રામ અને કૃષ્ણના મંદિર છે. તેટલા મંદિર કુર્મ ભગવાન અને વરાહ ભગવાનના નથી. માં-બાપ પ્રત્યક્ષ દેવ છે. સેવા કરજો……

આપણે ચર્ચા કરતા હતા કે, અવિદ્યાનું બાહ્ય રૂપ ભલે સુંદર લાગે. એ રાક્ષસી છે. એ બાળકોને મારે છે. એટલે કે બાળકો જેવી, જે નિર્દોષતા છે. તેને મારે છે. ભક્તિની નિર્દોષતા ને ખતમ કરે છે. અનેક દોષોને જન્મ આપે છે. યશોદાના લાલાને, રાક્ષસી જ્યારે મારવા આવી. યશોદામાં ભોળા છે. અને આ રાક્ષસી પોતાની છાતી ઉપર, ઝેર અને વેર ચોપડીને આવી છે. અને રાક્ષસીના મોઢે ભાવ કાંઈક જુદા છે. તે એવું કહેતી-કહેતી આવે છે કે “વધાઈ હો વધાઈ હો, યશોદા મૈયા, આપકે લાલો ભયો” આમે યશોદા માતા કેટલા ભોળા છે. બાળકને તેના ખોળામાં આપી દે છે. માટે માતાઓ સાવધાન રહો. જ્યારે આવી પશ્ચિમીકરણની સંસ્કૃતિ સ્વરૂપ રાક્ષસીઓ, તમારા ઘરના આંગણે આવે. અને વધામણી દેતી આવે, ત્યારે તમારા બાળકોને તેનાથી દૂર રાખો. નહીંતર તમારા બાળકનું બાલત્વ ખતમ કરી નાખશે.

કોલસો પણ કાર્બન છે. અને હીરો પણ કાર્બનનું ઠોશ સ્વરૂપ છે. પરંતુ બંનેમાં ફરક ખૂબ મોટો છે. એક ખૂબ સખત છે. અને બીજો એકદમ નરમ છે. એક ખૂબ કીમતી છે. અને બીજો ધૂળના ભાવે વેચાય છે. એક તમારી શોભામાં વધારો કરે છે. અને એક તમારું મોઢું કાળું કરે છે. માટે તમારે કોનો સંગ છે, તે જોઈ લેવું.

વ્યવહારિક માણસ છીએ પૈસા કમાવવા માટે મહેનત કરવી પડે. પરંતુ સત્સંગ માટે પણ સમય કાઢવાનો. એ ન ભૂલવું. સમય મળે ત્યારે ભજન કરી લેવું. ગૃહસ્થનો સંસાર બળદ ગાડું છે. એ એક્કો ન હોય. એક્કામાં એક જ બળદ જોડેલો હોય. આ ગૃહસ્થાશ્રમનું ગાડુ છે. આમાં બે બળદ હોય. અને જેના જીવનમાં એટલે કે ગૃહસ્થાશ્રમમાં સત્સંગ નથી. ભક્તિ નથી. તેના ગાડાને ક્યારેય ગતિ પ્રાપ્ત નહીં થાય. માટે જ્યારે સમય મળે, ત્યારે ગૃહસ્થોએ ભજન કરી લેવું. સત્સંગ કરી લેવો.

આ રીતે પૂજ્ય ભાઈશ્રીએ ખૂબ જ સરસ અને રસપ્રદ શૈલીમાં કથા સંવાદ કર્યો. અને આપણને અનેકવિધ જીવનના આટાપાટાઓની વચ્ચે, સ્થિર રહીને, ભક્તિ કરવાનો માર્ગ શીખવ્યો હતો એવું કથા સમિતિના પ્રેસ મીડિયા વિભાગના પ્રભારી વિજયભાઈ લોખીલ વિજયશ્રી અખબારી યાદીમાં જણાવે છે. આજે છઠ્ઠો દિવસ હતો. એટલે કે આવતીકાલે પૂર્ણાહુતિ છે. તેથી સૌ કોઈ પત્રકાર મિત્રો, સમય કાઢીને અચૂક આ કથા નો લાભ પ્રાપ્ત કરશો. અને શક્ય હોય ત્યાં સુધી સહ પરિવાર પધારશો. એવું નિમંત્રણ સમગ્ર કથા સમિતિ દ્વારા, મીડિયા વિભાગના પ્રભારી વિજયભાઈ લોખીલ વિજયશ્રી દ્વારા સૌ પત્રકાર મિત્રોને પાઠવવામાં આવ્યું.

અસ્તુ….

 

ll જય શ્રી કૃષ્ણ ll

Related posts

કોરોના વિકરાળ બન્યો : અમેરિકામાં એક દિવસમાં 1,87,833 નવા કેસ

Hello Morbi

*HELLO MORBI:મોરબી તાલુકાના બેલા ગામની સીમ, ખોખરા હનુમાન રોડ, શ્યામ હોટલ પાસેથી ટ્રક ટ્રેઇલરમાં છુપાવેલ ઇગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા રૂપિયા 𝟏𝟐,𝟏𝟕,𝟎𝟎𝟎 બાર લાખ સતર હજારની ગૌસેવા અર્પણ કરાઈ*

editor

Leave a Comment