
મોરબી તા ૭ : મોરબી શહેર અને જિલ્લામાં દિવાળીના તહેવારોમાં લોકોને શુદ્ધ મીઠાઈ અને ફરસાણ મળી રહે તે હેતુથી ફૂડ તંત્રએ મીઠાઈ અને ફરસાણના વેપારીઓ ઉપર દરોડા પાડયા હતા અને મીઠાઈ તેમજ ફરસાણની દુકાનોમાં ચકાસણી કરીને મીઠાઈના 18 અને ફરસાણના 20 નમૂના લઈ પૃથક્કરણ અર્થે મોકલ્યા છે.
ખોરાક અને ઔષધ નીયમન તંત્ર ગાંધીનગર સુચના અનુસંધાને સમગ્ર ગુજરાત રાજ્યમાં દિવાળી તહેવાર નિમિતે જાહેર જનતાને શુધ્ધ અને ભેળસેળ મુક્ત ફરસાણ મીઠાઈ મળી રહે તે બાબતે તહેવાર નિમિતે સ્પેશ્યલ ડ્રાઈવનું આયોજન કર્યું હોય તેના અનુસંધાને મોરબી જીલ્લામા ખોરાક અને ઔષધ નીયમન તંત્ર દ્વારા દિવાળી તહેવારને ધ્યાનમાં રાખી મોરબી જીલ્લાના વિવિધ વિસ્તારોમાંથી નમુના લેવાની કામગીરી કરવામા આવેલ હતી. જેમા મીઠાઈના કુલ-18 નમુના લેવામાં આવેલ હતા જેવા કે, ગુલાબ જાંબુ, ટોપરાપાક, કેસર પેંડા, રસગુલ્લા, માવાની કેક, ચોકલેટ બરફી, કાજુ કતરી, કેસર બાસુંદી, અંજીર બરફી, ચોકો કોકોનેટ પીઝા, થાબડી, પેંડા તેમજ ફરસાણના કુલ-20 નમુના લેવામાં આવેલ હતા જેવા કે, ચવાણું, ચંપાકલી ગાંઠીયા, તીખા ગાંઠીયા, સક્કરપારા, પાપડી ગાંઠીયા, ભાવનગરી ગાંઠીયા, નાયલોન સેવ, સીંગ ભુજીયા, ભાખરવડી, તીખા મીઠા મિક્ષ, ફરસી પુરી, મઠીયા, તેમજ ફરસાણ મીઠાઈ બનાવવા માટે વપરાતા રો મટીરીયલ જેવા કે બેસન, ઘી, તેલ, માવો, વગેરે નમુનાઓ લેવામાં આવેલ હતા તેમજ ફરસાણના વેપારીઓ દ્વારા વારંવાર વપરાતા તેલના TPC ની કામગીરી કરવામાં આવેલ હતી તેમજ સ્વછતા અને ચોખ્ખાઇ રાખી હાઈજેનીક કંડીશનનું સંપુર્ણ પાલન કરવાની સુચના આપવામા આવેલ હતી.
વધુમાં અગાઉ લેવામાં આવેલ નમુનાઓના રિપોર્ટ આવતા તેમાથી સ્વામીનારાયણ ફરાળી લોટ અને સ્વામીનારાયણ રાજગરા લોટ (કે જેનુ ઉત્પાદન સુરત જીલ્લામાં થાય છે) ના રીપોર્ટ અપ્રમાણીત જાહેર થતા તેના વિરૂધ્ધ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.



