
*ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે વાંકાનેર ખાતે ૨૦ માર્ચે ‘ઔદ્યોગિક ભરતી મેળો’ યોજાશે*
*આઈ.ટી.આઈ. વાંકાનેર ખાતે યોજાનારા મેળામાં વિવિધ નોકરીદાતાઓ દ્વારા વિનામૂલ્યે પસંદગી પ્રક્રિયા હાથ ધરાશે*
*મોરબી, તા. ૧૭ માર્ચ,*
મોરબી જિલ્લાના યુવાનોને ખાનગી ક્ષેત્રમાં રોજગારીની ઉત્તમ તકો ઉપલબ્ધ કરાવવાના હેતુથી રોજગાર અને તાલીમ નિયામકશ્રીના માર્ગદર્શન હેઠળ આગામી તા. ૨૦/૦૩/૨૦૨૬ ના રોજ નિયત ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા આયોજિત આ ભરતી મેળો વાંકાનેર–રાજકોટ હાઈવે પર તાલુકા સેવા સદનની સામે આવેલી આઈ.ટી.આઈ. (ITI) વાંકાનેર ખાતે સવારે ૧૧:૦૦ કલાકે યોજાશે.
આ ભરતી મેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ પ્રતિષ્ઠિત નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને ઉમેદવારોની સીધી પસંદગીની કાર્યવાહી હાથ ધરશે. ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઈચ્છુક નોન-મેટ્રિક, એસ.એસ.સી. (SSC), એચ.એસ.સી. (HSC), આઈ.ટી.આઈ. (ITI) અથવા સ્નાતક વગેરેની શૈક્ષણિક લાયકાત ધરાવતા અને ૧૮ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા ઉમેદવારો આ મેળામાં ભાગ લઈ શકશે. ઉમેદવારોએ પોતાના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (LC), પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ અને બાયોડેટા સાથે નિયત સમયે અને સ્થળે સ્વખર્ચે હાજર રહેવા જણાવ્યું છે.
જે ઉમેદવારોએ રોજગાર વિનિમય કચેરી ખાતે હજુ સુધી નામ નોંધણી નથી કરાવી, તેઓ પણ આ ભરતી મેળામાં હાજર રહીને પસંદગી પ્રક્રિયામાં જોડાઈ શકશે. જિલ્લાના મહત્તમ યુવાનો આ ભરતી મેળાનો લાભ તે માટે મોરબી જિલ્લા રોજગાર અધિકારીશ્રી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
