*રાજ્યમંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ*
*વહીવટી તંત્ર લોકોની સુખાકારી માટે હકારાત્મક અભિગમ સાથે કામગીરી કરે તેવો મંત્રીશ્રીનો નિર્દેશ*
*જિલ્લામાં ‘નમો વન’ ફેઝ-2 ની કામગીરી અને જળ સંચય માટે કુવાઓના રિસ્ટોરેશન અંગે અપાઈ જરૂરી સૂચનાઓ*
*મોરબી, તા.16 મે*
મોરબી જિલ્લાના પ્રજાલક્ષી પ્રશ્નોના ઝડપી નિરાકરણ અને વિકાસકામોની ગતિ વધારવાના હેતુથી શ્રમ અને રોજગાર રાજ્યમંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયાની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે આયોજિત આ બેઠકમાં મંત્રીશ્રીએ જિલ્લાના ખેડૂતો, પર્યાવરણ અને માળખાકીય સુવિધાઓ અંગે ગંભીરતાપૂર્વક સમીક્ષા કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
મંત્રીશ્રીએ ખેડૂતોના હિતમાં મહત્વની ચર્ચા કરતા જણાવ્યું હતું કે, ટેકાના ભાવે ઘઉંની ખરીદીની પ્રક્રિયામાં ખેડૂતોને કોઈ પણ પ્રકારની સમસ્યા ન નડે તે સુનિશ્ચિત કરવું અનિવાર્ય છે. આ ઉપરાંત જિલ્લામાં થતા ગેરકાયદેસર ખનન અને ખનીજ ચોરીની પ્રવૃત્તિઓ પર કડક નિયંત્રણ લાવવા અંગે પણ વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. પાણી પુરવઠા વિભાગની વિવિધ યોજનાઓની વર્તમાન સ્થિતિ અને વિકાસકામોની પ્રગતિ અંગે મંત્રીશ્રીએ જીણવટભરી વિગતો મેળવી હતી.
હાલ ઉનાળામાં જળ સંચયના અભિગમ સાથે મંત્રીશ્રીએ સૂચના આપી હતી કે, તળાવોની અંદર આવેલા જૂના કુવાઓનું રિસ્ટોરેશન કરવામાં આવે અને જરૂર જણાય ત્યાં નવા કુવા બનાવવાનું સુદ્રઢ આયોજન હાથ ધરવામાં આવે. મોરબીના શહેરીજનોને હરવા-ફરવા માટે શ્રેષ્ઠ સુવિધા મળી રહે તે માટે ‘નમો વન’ ફેઝ-૨ ની કામગીરી સત્વરે આગળ વધારવા અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. મંત્રીશ્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “વહીવટી તંત્રના અધિકારીઓએ પ્રજાની સુખાકારી માટે હકારાત્મક અભિગમ અપનાવી કામગીરી કરવી જોઈએ જેથી સામાન્ય નાગરિકોને કોઈ પણ પ્રકારની હેરાનગતિ ન થાય.”
જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિદ્યાસાગરે આ પ્રસંગે તમામ વિભાગોમાં પારદર્શિતા લાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે અધિકારીઓને તાકીદ કરી હતી કે, નાગરિકોને પોતાના કામ માટે બિનજરૂરી ધક્કા ન ખાવા પડે તે માટે પોઝિટિવ એપ્રોચ રાખવો અને મહત્તમ પ્રશ્નોનું તાલુકા સંકલન કક્ષાએ જ નિરાકરણ આવી જાય તે રીતે કાર્યપ્રણાલી ગોઠવવી.
આ બેઠકમાં ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયા અને શ્રી જીતુભાઈ સોમાણી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી મુકેશ પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એન.એસ. ગઢવી, ઈનચાર્જ નિવાસી અધિક કલેક્ટર અને વાંકાનેર પ્રાંત અધિકારીશ્રી વિપુલ સાકરીયા તથા જિલ્લાના પદાધિકારીઓ તેમજ વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

