
શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ પાટણના નિષ્ઠાવાન અગ્રણી પ્રવિણભાઈ પ્રભુરામભાઈ સોનપાલનું થયેલ દુઃખદ નિધન
શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ પાટણના પાયાના નિષ્ઠાવાન અગ્રણી કાર્યકર મૂળ જાખેલના વતની એવા પ્રવિણભાઈ પ્રભુરામભાઈ ઠક્કર/ સોનપાલનું અણધાર્યું મૃત્યુ થતાં પાટણ શહેર ઉપરાંત સમગ્ર વઢિયાર પંથકમાં ઘેરા આઘાતની લાગણી પ્રસરી છે.
સદગત પ્રવિણભાઈ સદાય આનંદી,માયાળુ, નખશિખ સજ્જન, ખૂબ જ પ્રમાણિક, પૂજ્ય જલારામ બાપાના પરમ ભકત, ખૂબ જ ઉદાર, પોઝિટિવ,સક્રિય, જાગૃત, લાગણીશીલ, દરેક સત્કાર્યમાં ખડેપગે સાથ આપનાર, કોઈ પણ પ્રકારના હોદો કે માન સન્માનની અપેક્ષા ના રાખનાર, ગૌમાતાના પરમ ભકત તેમજ શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ પાટણના અતિ લાડકવાયા વડીલ હતા.
પાટણમાં તારીખ 22-2-2024 પ્રથમ ગુરૂવારે આર.જી.ઠકકરના સૌજન્યથી પૂજ્ય જલારામ બાપાનાં ભજન શરૂ થયાં ત્યારથી જ પ્રવિણભાઈ પ્રભુરામભાઈ ઠક્કર સતત સક્રિય રહીને દર ગુરૂવારે પૂજ્ય જલારામ બાપાના ભજનમાં નિયમિત હાજરી આપતા હતા.તારીખ 15-8-2026 શનિવારે ભાભર ખાતે 101 ગુરૂવારની મહા ઉજવણીમાં પણ તેમણે હાજરી આપી સૌ સાથે હાથ મિલાવી હરખભેર છેલ્લા રામરામ કર્યા હતા.કોઈપણ વ્યક્તિ સાથે એમને વિવાદ કે વેરઝેર નહોતું.તેમના બેય સુપુત્રો હિતેશભાઈ સોનપાલ-ડીસા અને ચિરાગભાઈ સોનપાલ-પાટણ સેવાનાં સત્કાર્યો તેમજ જલારામ બાપાના ભજન સત્સંગ સાથે સંકળાયેલા છે.સદગતની સ્મશાનયાત્રામાં બહોળી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસાના સંચાલક ભગવાનભાઈ બંધુ તેમજ લોહાણા ન્યૂઝના તંત્રી આનંદભાઈ પી ઠક્કરે સદગત પ્રવિણભાઈના દિવ્ય આત્માને ચિરશાંતિ મળે તે માટે પ્રાર્થના કરી શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી તેમજ સદગતના પરિવારજનોને આશ્ર્વાસન આપ્યું હતું.
