
મધ્ય પ્રદેશ માં ઘટિત શરમજનક ઘટના એ ફરી ભારતમાં પત્રકારો ની આઝાદી પર પ્રશ્નાર્થ ચિન્હ ખડા કર્યા છે
વિશ્વમાં પત્રકારો માટે સૌથી ભયજનક દેશોમાં ભારત નો થયેલો સમાવેશ એ દેશમાં પત્રકારોની હાલત નું ચિત્ર સ્પષ્ટ કરે છે.
પત્રકારો ની સામે મુખ્ય પાંચ પડકારો છે : સત્તા પક્ષ અને તેની ટ્રોલ આર્મી, સત્તા પક્ષ નું ગુલામ પોલીસ તંત્ર અને સત્તા પક્ષનાં ટેકેદાર ગુંડા તત્વો, સત્તા પક્ષ નાં તાબેદાર મીડિયા હાઉસ નાં માલિકો, સત્તા પક્ષ નાં ચાટુકાર ખુદ પત્રકારો
મધ્ય પ્રદેશ નાં સીધી વિસ્તારમાં ભાજપનાં સ્થાનિક ધારાસભ્ય કેદારનાથ શુક્લા સામે અહેવાલ પ્રસિદ્ધ કરવાનો ખાર રાખી સત્તા પક્ષ નાં ગુલામ બની ગયેલા પોલીસ અધિકારી દ્વારા બહુ જ નિંદનીય કહી શકાય તેવી ઘટના ને અંજામ આપવામાં આવ્યો છે. ન્યુઝ નેશન નાં પત્રકાર અને કેમેરામેન કે જે પોતાની સ્થાનિક યુ ટ્યુબ ચેનલ પણ ચલાવે છે અને જેનાં એક લાખ સિત્તેર હજાર સબ સ્ક્રાઈબર છે તેવા કનિષ્ક તિવારી ને અટકાયતી પગલા ને બહાને લોક અપ માં બંધ કરી તેનાં તમામ કપડા કઢાવી માત્ર નીકર સાથે ફોટો પ્રદર્શન કરાવવામાં આવ્યું અને તેની સાથે મારપીટ કરી જો તે ભાજપનાં ધારાસભ્ય વિરૂદ્ધ અહેવાલ પ્રગટ કરશે તો શહેરમાં નગ્ન અવસ્થામાં ઝુલુસ કાઢશે તેવી ધમકી આપવામાં આવી છે. આ ઘટના સંવિધાન નાં મૂળભૂત અધિકારો અને આંતરરાષ્ટ્રીય માનવ અધિકારો નું ખુલ્લુ ઉલંઘન જ નહીં પણ લોકતંત્ર ની અવદશા નું પણ ખુલ્લુ ચિત્રણ કરે છે. આ ઘટનાથી દેશભરના પત્રકાર સંગઠનોમાં ભારે આક્રોશ ની લાગણી જૉવા મળી રહી છે ત્યારે એક પ્રશ્ન સ્વાભાવિક થવો ઘટે કે પત્રકારોની આવી દયનીય હાલત માટે જવાબદાર કોણ છે ??? આજથી એક દાયકા પહેલાં દેશભરમાં છાતી કાઢીને ફરતો પત્રકાર આજે માત્ર એક જ દાયકા બાદ આટલો બેબશ અને લાચાર કેમ બની ગયો?? જે લોકો આ દેશમા લોકતાંત્રિક વ્યવસ્થા ને ટકાવવા ઇચ્છે છે તેઓએ આ પ્રશ્ન નો જવાબ શોધવો પડશે. લોકોની મૂળભૂત આઝાદી અને પત્રકારો ની આઝાદી ને સીધો જ સંબંધ છે. જે દેશમાં પત્રકારો ની સ્વતંત્રતા અને સુરક્ષા ભય માં મુકાય છે ત્યાં નાં લોકો ગુલામી ની ઝંઝીરોમાં જકડાઈ જાય તે નિશ્ચિત છે. “રિપોર્ટર વિધાઉટ બોર્ડર” નામની એક વૈશ્વિક સંસ્થા દુનિયાભરમાં પત્રકારો ની આઝાદી પર એક સર્વે કરે છે તેમનાં રિપોર્ટ મુજબ વિશ્ર્વ પ્રેસ સ્વતંત્રતા સૂચકાંક ( વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્ષ) માં 180 દેશોમાં ભારતનું સ્થાન 142 મુ છે.2016 માં આ સ્થાન 133 મું હતુ આમ વર્ષોવર્ષ આપણે પત્રકારો માટે ભયજનક દેશોમાં સતત આગળ વધી રહયા છીએ. વિશ્વમાં પત્રકારો માટે સૌથી ભયજનક દેશોમાં ભારત નો સમાવેશ એ અહી પત્રકારો ની હાલત કેવી છે તેનું સીધું નિરૂપણ કરે છે. પત્રકારો ને પ્રતાંડીત કરી સત્ય ને દબાવવાની કોશિષ કરવામાં કોઈ રાજકીય પક્ષ પાછળ નથી પરંતુ ભારતીય જનતા પાર્ટી ની સરકાર કેન્દ્રમાં આવ્યા બાદ આ પ્રકારનાં લોકતંત્ર વિરોધી પરિબળો વધું બેકાબુ બન્યા છે તે પણ હકિકત છે. સત્તા અને સત્યને કાયમ આડવેર હોય છે અને માત્ર પત્રકારો એક જ એવી જાગીર છે જે કોઇપણ પ્રકારનાં સંશાધનો વગર પણ એકલ પંડે માત્ર પોતાની નૈતિક હિંમત વડે આવા જન વિરોધી અને સત્તા ની આડમાં ભ્રષ્ટાચારનું પોષણ કરતા તત્વોને પડકારે છે જેનો ખામિયાજો તેઓ પોતાની જાન આપીને પણ ભોગવે છે. પત્રકારો ને નિષ્પક્ષ અને જન લક્ષી પત્રકારત્વ કરતું રોકતા અને તેને બિચારો બનાવતા મુખ્ય પાંચ પરિબળો છે. (1) સત્તા પક્ષ નું ટ્રોલ આર્મી કે જે સત્તા પક્ષ નાં ભાડૂતી આઈ ટી સેલના કાર્યકરો કે પેડ વર્કરો છે જેઓ ચોવીસ કલાક એવાં લોકો પર નજર રાખે છે જે સત્તા પક્ષ નાં એજન્ડા થી વિપરીત અહેવાલો પ્રસિદ્ધ કરે છે. આ ભાડૂતી ટ્રોલ આર્મી આવા પત્રકારો વિરૂદ્ધ સોશ્યલ મીડિયા માં માહોલ બનાવી તેમને માનસિક ત્રાસ આપી પ્રતાંડિત કરે છે.(2) સત્તા પક્ષ નું ગુલામ પોલીસ તંત્ર : કોઈપણ પક્ષની સત્તા હોય તેઓ પોતાનો દબદબો કાયમ રાખવા પોલીસ તંત્ર નો ભરપૂર દુરુપયોગ કરે છે. પોલીસ તંત્ર પણ યોગ્ય રીતે કાયદાનું પાલન કરવાને બદલે નેતાઓના કહેવાથી પત્રકારો પર જૂઠ્ઠા મુકદમાં બનાવી તેઓને માનસીક અને શારીરિક યાતનાઓ આપી લોકતંત્ર નું ગળું ઘોંટવાનું દુષ્કૃત્ય કરે છે અને સત્તા પક્ષનાં પાપોમાં ભાગીદાર બને છે. મધ્ય પ્રદેશની ઘટના આ બાબતનું જ વરવું સ્વરૂપ છે. (3) સત્તા પક્ષ નાં પાળીતા ગુંડાઓ : કેટલીક વખત પત્રકારો ને અસામાજિક તત્વો દ્વારા સીધા જ ડરાવવા અને ધમકાવવાનું કામ થાય છે. આવી બાબતો અંતર્ગત દેશમાં કેટલાય પત્રકારો એ પોતના જીવ ગુમાવ્યા છે કે શારીરિક હુમલાઓના ભોગ બન્યા છે. લોકો સમક્ષ નેતાઓ નાં કૌભાંડો કે દુરાચારી કૃત્યો ખુલ્લા કરવા જતી વખતે પત્રકારોને આ પ્રકારની ધમકીઓ છાશવારે મળે છે. (4) સત્તા પક્ષ નાં વોટ બેન્ક આધારીત વિભાજનકારી એજન્ડા ને પ્રોપેગંડા મારફત લોકો સમક્ષ મૂકીને નફરતનુ ઝેર ભરતા મિડિયા હાઉસનાં માલિકો પોતાના ઔધોગિક સામ્રાજ્ય ને વિકસાવવા પત્રકારો નો હથિયાર તરીકે ઉપયોગ કરે છે. તેઓ તેમના એજન્ડા માં સામેલ થનાર પત્રકારો ને ઇનામ આપે છે જયારે લોક લક્ષી પત્રકારત્વ કરવાની કોશિષ કરનાર પત્રકારોને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે છે. આવી સ્થિતીમાં પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે પત્રકાર મજબૂર બની સ્વતંત્ર પત્રકારિતા કરવાનું છોડી ગુલામી પસંદ કરે છે(5) પત્રકારો ને બિચારો અને લાચાર બનાવવામાં ખુદ પત્રકારો નું પણ મોટું યોગદાન છે. પોતાની સાથે કામ કરતો પત્રકાર ક્યાંક પોતાનાથી આગળ ન વધી જાય એવુ વિચારીને પત્રકારો જ પોતાના સાથી પત્રકારો ને બદનામ કરવાનું કાર્ય કરે છે. નફરત ફેલાવનારી વિચારધારાનો ભાગ બનેલા પત્રકારો પત્રકારત્વની આડ માં લોકો ની વાત મૂકવાને બદલે સત્તા પક્ષ નો એજન્ડા લોકો સમક્ષ મૂકી તેમને ગુમરાહ કરે છે અને સાચા પત્રકારો ને બદનામ કરે છે.
આ દરેક પરીબળો વત્તે ઓછે અંશે હાલમાં સ્વતંત્ર પત્રકારિતા ને બાધિત કરી રહ્યા છે. દેશમાં પત્રકારો ની હાલત દિવસે દિવસે દયનીય બની રહી છે. કમનસીબી એ છે કે લોકો નો અવાજ બનતા પત્રકારો નો ખુદ નો અવાજ જાલીમોનાં રાક્ષશી અટ્ટ હાસ્યો વચ્ચે રૂંધાઇ રહ્યો છે. આ તમામ પરીબળો નો સામનો કરવા માટે પત્રકારો માટે પત્રકાર એકતા એ જ એકમાત્ર અને હાથવગું હથિયાર છે.
