

સમગ્ર ઉતર ગુજરાતમાં લોક સાહિત્ય તેમજ શિષ્ટ સાહિત્યમાં આગવી નામના ધરાવતા ડીસાના કનુભાઈ આચાર્યનું “હાસ્યાસવ ” પુસ્તક સંતોના વરદહસ્તે ડીસા રોટરી હોલ ખાતે લોકાર્પણ-વિમોચિત કરાયું હતું.
રોટરી કલબ ડીસા તેમજ બનાસ સાહિત્ય કલા સંઘના સંયુક્ત ઉપક્રમે આયોજીત આ દિવ્ય કાર્યક્રમમાં પૂજ્ય આનંદનાથજી મહારાજ તેમજ પૂજ્ય નિજાનંદજી મહારાજે આશીર્વાદની સાથે સાથે વિશિષ્ટ શૈલીમાં સાહિત્ય સર્જન તેમજ ઉપયોગીતા વિષે વાત કરી કનુભાઈ આચાર્યના સાહિત્ય સર્જનને બિરદાવ્યું હતું.સમારંભના અધ્યક્ષ મહોદય ધાન્ધાર પંચાલ સેવા સમાજ ડીસાના પ્રમુખ રમેશભાઈ કસ્તુરભાઈ પંચાલે આવા સરસ કાર્યક્રમમાં હાજર રહેવાનો મોકો મળ્યો એ બદલ અનહદ રાજીપો વ્યક્ત કર્યો હતો.
ડીસા ઉપરાંત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાંથી પધારેલ 250 જેટલા ઉચ્ચ કક્ષાના કવિઓ,સાહિત્યકારો,લેખકો,સાહિત્ય રસિકો તેમજ પ્રબુદ્ધ નગરજનોની પાવન ઉપસ્થિતિમાં યોજાયેલ આ કાર્યક્રમની શુભ શરૂઆત જાણીતા ગાયક સંજયભાઈ બારોટની પ્રાર્થનાથી થઈ હતી.દીપપ્રાગટય બાદ શાબ્દિક સ્વાગત રોટરી કલબના પ્રમુખ વિષ્ણુભાઈ શર્માએ કર્યું હતું.હાસ્યાસવ પુસ્તક તેમજ પોતાની સાહિત્ય સફરની વાત કરતાં લેખક કનુભાઈ આચાર્યે તેમના અનુભવો જણાવ્યા હતા.પૂજનીય સંતો તેમજ મંચસ્થ મહાનુભાવોનું સાલ તેમજ પુષ્પોથી સન્માન કરાયું હતું.સંતોનો વિશિષ્ટ પરિચય બનાસ સાહિત્ય કલા સંઘના મહામંત્રી ભગવાનભાઈ બંધુએ આપ્યો હતો.
આ દિવ્ય અવસરે પર્યાવરણપ્રેમી ડો.નવીનકાકા,અમરજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ રાધનપુરના પ્રમુખ મહેશભાઈ મુલાણી,બનાસ સાહિત્ય કલા સંઘના ઉપપ્રમુખ તરૂણભાઈ શેઠ સહિત સૌએ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું.સમગ્ર કાર્યક્રમનું સમયબધ્ધ સંચાલન ભગવાનભાઈ બંધુએ જ્યારે આભારવિધિ નાથાભાઈ ખત્રીએ કરી હતી.
કાર્યક્રમની સફળતા માટે રોટરી કલબ ડીસાના મંત્રી હસમુખભાઇ એમ.પોપટ,બનાસ સાહિત્ય કલા સંઘના ઈશ્ર્વરભાઈ રાવળ,આનંદભાઈ પી.ઠકકર,દિનેશભાઈ રાવળ તેમજ રોટરીના અશોકભાઈ માળી સહિત સૌએ નિષ્ઠાપૂર્વક પ્રયત્નો કર્યા હતા.ડીસાની વિવિધ સંસ્થાઓના પદાધિકારીઓએ ખૂબ સારી સંખ્યામાં આ અવસરે ઉપસ્થિત રહી કાર્યક્રમને માણ્યો હતો તેમજ લેખક કનુભાઈ આચાર્યને રૂબરૂ મળી અભિનંદન આપ્યા હતા.

