

મોરબી:તા ૧૪ ભારતીય જનતા પાર્ટીની ગૌરવયાત્રા આજે મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના નેકનામ ગામેથી શરૂ થઈ હતી જેમાં કેન્દ્રિય મંત્રી પિયુષ ગોયલ, રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા, જયંતીભાઈ કવાડિયા, ભરતભાઈ બોઘરા,પૂર્વ મંત્રી ચીમન સાપરીયા, પૂર્વ ચેરમેન મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ ધનસુખભાઈ ભંડેરી, સાંસદ મોહનભાઈ કુંડારીયા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા સહિત જિલ્લાના ભાજપ આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ ગૌરવ યાત્રાનું મોરબી સિરામિક એસોશિએશન દ્વારા રફાળીયા નજીક ઉમળકા ભેર સ્વાગત કરાયું હતું.
દરમિયાન મોરબી જિલ્લામાં નેકનામ ખાતે ગૌરવ યાત્રાના સ્વાગત બાદ આ યાત્રા પ્રભુનગર (મીતાણા), ટંકારા, લજાઈ, હડમતીયા, જડેશ્વર, રાતિદેવડી, વાકાંનેર, ઢુવા, મકનસર, લીલાપર, રવાપર ચોકડી થઇ મોરબી નેહરુ ગેટ ખાતે પહોંચી હતી જ્યા જનસભાને સંબોધતા કેન્દ્રીયમંત્રી પિયુષ ગોયલે ગુજરાતીમાં પોતાની સ્પીચ આપી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને વિશ્વનેતા ગણાવી તેમના શાસનકાળમાં ગુજરાત અને સમગ્ર દેશે પ્રગતિના શિખરો સર કર્યાનું જણાવી ઉમેર્યું હતું કે, આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈની ડબલ એન્જીન સરકાર ચાલી રહી છે પરંતુ મોરબીની જનતાએ પાલિકામાં ૫૨-૫૨ ભેટ ધરતા અહીં તો ત્રિપલ એન્જીન સરકાર હોવાનું તેમને જણાવ્યું હતું.
મોરબીની જનસભામાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈએ મોરબીને કન્ટેનર ડેપો અને નજીકમાં જ ઇન્ટરનેશનલ એરપોર્ટ આપ્યું છે ત્યારે આગામી ચૂંટણીમાં મોરબી બેઠક જીતાડી ભરોસાની સરકાર બનાવવા પ્રજાજનોને અપીલ કરી હતી.

