ઝેરડામાં નવીન શાંતિધામ-સ્મશાન ભૂમિના નિર્માણ માટે યોજાઈ સફળ મીટીંગ
અંદાજે પાંચ હજાર પરિવારોનો વસવાટ ધરાવતું ડીસા તાલુકાનું ખૂબ જ મોટું તેમજ પ્રગતિશીલ ગામ ઝેરડા અનેક સત્કાર્યો,ધર્મકાર્યો તેમજ પૂન્યકાર્યોથી હંમેશાં અગ્રેસર હોય છે.ગામમાં શિક્ષણ,વીજળી,પાણી,રસ્તા,મંદિરો વિગેરેની સંપૂર્ણ સગવડ છે પરંતુ સમગ્ર સનાતન હિંદુ સમાજનું સર્વ જ્ઞાતીય સ્મશાન ના હોવાને લીધે ખૂબ જ અગવડ પડે છે.
આ બાબતે ગામના યુવાનોને શાંતિધામ બનાવવાનો રચનાત્મક વિચાર આવતાં ગામના વડીલોના આશીર્વાદ લઈ ડીસાના જાણીતા સમાજસેવક તેમજ શાંતિધામ ડીસાના પ્રમુખ ભગવાનભાઈ બંધુના અધ્યક્ષ સ્થાને ઝેરડા સર્વ સમાજના આગેવાનોની એક અગત્યની મીટીંગ આગમાતાના મંદિર ખાતે મળી હતી જેમાં ગામના સરપંચ પીરાભાઈ દેસાઈ સહિત ખૂબ મોટી સંખ્યામાં ગામના સર્વ સમાજના આગેવાનો તેમજ યુવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.જાણીતા કથાકાર પૂજ્ય યશવંત શાસ્ત્રીજી મહારાજે આ શુભ કાર્ય માટે આશીર્વાદ આપી ગામની એકતાને બિરદાવી હતી.જાણીતા લેખક અને ચિત્રકાર નાથાલાલ ખત્રીએ શુભેચ્છાઓ પાઠવી હતી.અધ્યક્ષ મહોદય ભગવાનભાઈ બંધુએ શાંતિધામના નિર્માણ માટે સમગ્ર ઝેરડા નગરના પ્રત્યેક પરિવારને શાંતિધામ અધતન બને તે માટે આર્થિક સહયોગ આપવા વિનંતી કરી જરૂરી સંપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું.ઉપસ્થિત સૌએ આર્થિક સહયોગ નોંધાવતાં પ્રથમ મીટીંગમાં જ શાંતિધામ માટે પ્રેરણાદાયી ફંડ નોંધાયું હતું. શાંતિધામના ઝડપી નિર્માણ માટે સૌએ મક્કમ સંકલ્પ કર્યો હતો.
