આજ રોજ તા.૨૧-૦૪-૨૦૨૩ના મોરબી જિલ્લા કલેક્ટરશ્રી જી.ટી.પંડ્યાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક કલેકટર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી.
આ સંકલન બેઠકમાં ધારાસભ્યશ્રી કાંતિલાલ અમૃતિયાએ મોરબી શહેરના લાતી પ્લોટને તમામ પ્રાથમિક સુવિધા ઉપલ્બ્ધ કરવા માટેની યોજના બનાવવા જણાવ્યું હતું. મચ્છુ-૨ની કેનાલમાં ભળી જતા ગટરના પાણીનો યોગ્ય નિકાલ કરવા પર ભાર મુકી મોરબીથી માળીયા જતા રોડની બન્ને બાજુ ભરાતા વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરાવવા પણ જણાવ્યું હતું. ઉપરાંત નેશનલ હાઇ-વેને ક્રોસ કરતા ગામડાનાં રોડ પર ભુગર્ભની સફાઈ, રોડના બન્ને બાજુના દબાણ હટાવવા, સરકાર દ્વારા ચાલતી સૌની યોજના હેઠળ પાઇપલાઇનથી ૩ કી.મીની મર્યાદામાં આવતા તળાવ ચેકડેમ સાંકળવા, પ્રજાની મુશ્કેલીને હલ કરવા વાંકાનેર થી ભાવનગર જતી વધું એક બસ ચાલુ કરાવવી, ઉપરાંત જાહેર વિસ્તારો આસપાસ આવેલ ગેરકાયદેસર માંસાહારી લારીઓ કે દુકાનો હટાવવી વગેરે જેવા વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા.
સંકલન બેઠકનું સંચાલન એન.કે. મુચ્છાર દ્વારા કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી જી.ટી. પંડ્યા સાથે જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરાગ ભગદેવ, ડીવાયએસપીશ્રી ગોસ્વામી, વાંકાનેર ધારાસભ્યશ્રી જીતેન્દ્રાભાઇ શિહોરા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી એન.એસ. ગઢવી, ડેપ્યુટી કલેક્ટરશ્રી ડી.સી. પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ચંદુલાલભાઇ શિહોરા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી કવિતાબેન દવે, જિલ્લા પાણી પુરવઠા અધિકારીશ્રી વાય.એમ. વંકાણી, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી વિક્રમસિંહ ચૌહાણ તથા માર્ગ અને મકાન(પંચાયત) કાર્યપાલક ઇજનેરશ્રી અજીત ચૌધરી, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી નિલેશ રાણીપા સહિત મામલતદારશ્રી, ટીડીઓશ્રી, જિલ્લાની વિવિધ કચેરીઓના વડા અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.