Raj Bhavan
Press Release
Dt. 09.09.2023
*કલેકટર્સ પછી આજે રાજ્યના તમામ જિલ્લા વિકાસ અધિકારીઓ કુરુક્ષેત્રમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાતે*
—————————-
*કલેકટર્સ અને ડી.ડી.ઓ.ની કુરુક્ષેત્રના પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાતથી ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ અભિયાન વધુ વેગવાન બનશે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી*
*વર્તમાન સમયમાં અનેક સમસ્યાઓનો પ્રાકૃતિક ખેતી જ એક ઉકેલ છે*
*સહુના સહિયારા પ્રયત્નોથી આગામી બે વર્ષોમાં આપણે ગુજરાતને સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતું રાજ્ય બનાવવું છે*
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી વતન હરિયાણાના કુરુક્ષેત્રમાં ૨૦૦ એકરના વિશાળ ફાર્મમાં પ્રાકૃતિક ખેતી કરે છે. પ્રાકૃતિક ખેતીની સફળતા અને તેના વૈજ્ઞાનિક અભિગમની જાણકારી મેળવવા ગુજરાતના તમામ જિલ્લા વિકાસ અધિકારીઓ આજે કુરુક્ષેત્ર પહોંચ્યા હતા. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના આમંત્રણ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અનુરોધથી રાજ્યના કલેક્ટર્સ અને જિલ્લા વિકાસ અધિકારીઓની પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત ગોઠવાઈ છે. આ મુલાકાતથી આવનારા બે વર્ષોમાં ગુજરાતને સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતું રાજ્ય બનાવવાના અભિયાનને વધુ વેગ મળશે.
કુરુક્ષેત્રમાં ગુજરાતના જિલ્લા વિકાસ અધિકારીઓને આવકારતાં અને સંબોધતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવ્રતજીએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રાકૃતિક ખેતીના પ્રબળ પક્ષકાર છે. વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય અને રાસાયણિક ખાતરનો વપરાશ બંધ થાય તે માટે તેઓ પણ સતત ચિંતા કરી રહ્યા છે ત્યારે ગુજરાતમાં કલેકટર્સ અને જિલ્લા વિકાસ અધિકારીઓ વધુ સક્રિયતાથી આ ઝુંબેશમાં જોડાય એ જરૂરી છે.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જિલ્લા વિકાસ અધિકારીઓને પ્રાકૃતિક કૃષિ ફાર્મમાં પ્રત્યક્ષ જાણકારી આપતાં અને ખેત પેદાશોનો સાક્ષાત્કાર કરાવતાં કહ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કોઈ જાતના ખર્ચ વિના માત્ર ગોબર-ગૌમૂત્રથી ખેતી કરી શકાય છે. ધરતીની ગુણવત્તા સુધરતા ઉત્પાદન વધુ થાય છે. એટલું જ નહીં, સ્વાસ્થ્યપ્રદ અને સારી ગુણવત્તાવાળું ઉત્પાદન મળે છે. પાણીની જરૂરિયાત ઓછી થઈ જાય છે, ભેજથી જ ભરપૂર લાભ થાય છે. એક સાથે અનેક પાક લઈ શકાય છે. ખેડૂતોની આવક બમણી કરવી હશે અને અતિવૃષ્ટિ-અનાવૃષ્ટિ કે વાવાઝોડા જેવી કુદરતી આપત્તિઓમાં પણ ઓછું નુકસાન થાય એવો ઉપાય જોઈતો હશે તો તે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ થી જ શક્ય બનશે.
રાસાયણિક ખાતરો અને પેસ્ટીસાઈડ્સના બેફામ ઉપયોગથી ખેત પેદાશો સાથે આપણે ધીમું ઝેર લઈ રહ્યા છીએ, જે અત્યંત હાનિકારક છે. પ્રાકૃતિક ખેતીથી રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓથી છૂટકારો મળી જશે, પરિણામે આપણા સ્વાસ્થ્યની સાથે ધરતીનું સ્વાસ્થ્ય પણ સુધરશે અને પર્યાવરણને થતું નુકસાન અટકશે. આમ વર્તમાન સમયમાં અનેક સમસ્યાઓનો પ્રાકૃતિક ખેતી એક ઉકેલ છે, એમ કહીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, સહુના સહિયારા પ્રયત્નોથી આપણે ગુજરાતને ઝેરમુકત બનાવવું છે. ખેડૂતોની આવક બમણી કરવી છે. ઘેર-ઘેર સ્વાસ્થ્યપ્રદ અને શુદ્ધ શાકભાજી, અનાજ અને ફળનો ઉપયોગ જ થાય એવી કાળજી લેવી છે. લોકોનું સ્વાસ્થ્ય સુધારવું છે. આ માટે સૌ સક્રિય યોગદાન આપીએ.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિ ફાર્મમાં કમલમ્ ફળ, જામફળ, શિંગોડા જેવા ઉત્પાદનો, ધાન અને શેરડીની માત્રા અને ગુણવત્તા ઉપરાંત શાકભાજીના ઉત્પાદનો દેખાડ્યા હતા. કુરુક્ષેત્ર પ્રાકૃતિક કૃષિ ફાર્મના કૃષિ વૈજ્ઞાનિક ડૉ. હરિ ઓમે પણ પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી થતા લાભોની વૈજ્ઞાનિક માહિતી વિગતવાર આપી હતી. તમામ જિલ્લા વિકાસ અધિકારીઓ પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાતથી અભિભૂત થયા હતા.
જિલ્લા વિકાસ અધિકારીઓએ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના ગુરુકુલની પણ મુલાકાત લીધી હતી. રાજ્યપાલશ્રીએ ૩૫ વર્ષ સુધી આચાર્ય તરીકે જ્યાં સેવાઓ આપી હતી તે ગુરુકુળ કુરુક્ષેત્રમાં શિક્ષણનું સ્તર, છાત્રોમાં સંસ્કાર અને શિસ્ત, પરિસરની સ્વચ્છતા, વ્યવસ્થા તંત્ર, વહીવટી તંત્ર અને સંચાલનની શ્રેષ્ઠતા જોઈને જિલ્લા વિકાસ અધિકારીઓ અત્યંત પ્રભાવિત થયા હતા.
તમામ ડી.ડી.ઓ. ઉપરાંત કૃષિ અને સહકાર વિભાગના સંયુક્ત સચિવ શ્રી પી. ડી. પલસાણા, કૃષિ નિયામક શ્રી સોલંકી અને આત્માના નિયામક શ્રી પ્રકાશ રબારી પણ આ પ્રવાસમાં જોડાયા હતા. શુક્રવાર અને શનિવાર દરમિયાન ગુજરાત રાજ્યના તમામ કલેક્ટર્સ અને જિલ્લા વિકાસ અધિકારીઓની રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાતથી ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનું અભિયાન વધુ વેગવાન બનશે.