
દેશની સાથે સમગ્ર ગુજરાત રાજ્યમાં છેલ્લી હરોળમાં રહેલા વંચિત લોકો સુધી સરકારી યોજનાના લાભ પહોંચાડવાના હેતુથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલી રહી છે. જે અન્વયે મોરબીના શક્તિનગર ગામે રથનું આગમન થયું હતું. સરકારી યોજનાઓ ઘર આંગણે પહોંચતા ગ્રામજનોએ રથને આવકાર્યો હતો.
આ પ્રસંગે મોરબી તાલુકા વિકાસ અધિકારીશ્રી પી.એસ. ડાંગરે જણાવ્યું હતું કે, ગામડે ગામડે લોકો સરકારી યોજનાઓથી વાકેફ બને અને કોઈ પણ આ યોજનાના લાભોથી વંચિત ન રહે તેવા હેતુથી આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા શરૂ કરવામાં આવી છે. સમગ્ર દેશ અને રાજ્યની સાથે પણ મોરબી જિલ્લામાં પણ યોજનાઓના માપદંડ અનુસાર લોકોને યોજનાના લાભ આપવામાં આવી રહ્યા છે. જિલ્લા વહિવટી તંત્ર દ્વારા પણ કોઈ વ્યક્તિ યોજનાના લાભોથી વંચિત રહી ન જાય તે માટે પુરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
પશુપાલન વિભાગ, લીડ બેંક વગેરે વિભાગની યોજનાઓ અંગેના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમ અન્વયે ખેડૂત મિત્રોને અધ્યતન ખેતી પદ્ધતિમાં ઓછા ખર્ચે અને નેનો યુરિયા ખાતરનો સરળતાથી છંટકાવ કરતા ડ્રોન ટેકનોલોજી અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શક્તિનગર ગામના ભાગોળે આવેલા ખેતરે જઈને ડ્રોન વડે દવાનો છંટકાવ કરી ખેડૂતોને લાઈવ ડેમોસ્ટ્રેશન આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મોરબી તાલુકા વિકાસ અધિકારીશ્રી પી.એસ. ડાંગર, સિંચાઈ વિભાગ (સ્ટેટ)ના કાર્યપાલક ઈજનેરશ્રી વિજય ભોરણીયા, ગામના સરપંચશ્રી, જન પ્રતિનિધિઓ, આગેવાનો, સરકારી વિભાગના અધિકારી/કર્મચારીશ્રીઓ તેમજ શક્તિનગરના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


