
સરકારીશ્રીની વિવિધ યોજનાઓના લાભ છેવાડાના લોકો સુધી પહોંચે અને લોકો આ યોજનાઓથી વાકેફ થાય તે માટે સમગ્ર ગુજરાત રાજ્યમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ પરિભ્રમણ કરી રહ્યા છે. જે અનવ્યે મોરબીના અદેપર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થયું હતું.
આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ સરકારશ્રીની યોજનાઓનો લાભ કેવી રીતે મેળવવો તે માહિતી આપવાનો છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી સરકારી યોજનાઓ ઘર આંગણે આવી છે ત્યારે જેમને આ યોજનાઓનો લાભ મળ્યો નથી તેમને યોજનાઓના લાભ હેઠળ સાંકળી લેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરિયાએ જણાવ્યું હતું કે, સરકારે લોક કલ્યાણ માટે જન્મથી માંડીને મૃત્યુ સુધીને યોજનાઓ બનાવી છે. ખેડૂતોને તેમણે જણાવ્યું હતું કે, થોડા દિવસોમાં કિસાન સૂર્યોદય યોજના થકી દિવસે વીજળી મળશે. આ પ્રસંગે વિકસિત ભારતની આ યાત્રામાં સૌને સહાભાગી બનવા તેમણે હાકલ કરી હતી.
આ પ્રસંગે અદેપર પ્રાથમિક શાળા ખાતે આવેલા રથમાં ગ્રામજનો અને ઉપસ્થિતોએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો રેકોર્ડ કરોલો વિકસિત ભારત સંકલ્પ અન્વયે પ્રજાજોગ સંદેશો સાંભળ્યો હતો અને વિકસિત ભારત માટે પ્રતિજ્ઞા પણ લીધી હતી.
આ પ્રસંગે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ તેમજ અન્ય યોજનાના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિવિધ સરકારી યોજનાના લાભ મેળવેલ લાભાર્થીઓએ તેમને મળેલ યોજનાના લાભની મેરી કહાની મેરી જુબાની અંતર્ગત વાત કરી હતી.
કાર્યક્રમ અન્વયે હેલ્થ કેમ્પ, પશુ હેલ્થ કેમ્પ, પોષણ અભિયાન, ટીબી નિક્ષય વગેરે માટેના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે મોરબી તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અશોકભાઈ દેસાઈ, અનુસૂચિત જાતિ નાયબ નિયામકશ્રી ડી.એમ. સાવરિયા સહિત પદાધિકારીશ્રી/અધિકારીશ્રી અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


