
મોરબી: તા ૨૪ મોરબી પોલીસ અધિક્ષકની કચેરી ખાતે ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ લોક દરબાર યોજી મોરબી જિલ્લાના નાગરિકોના પ્રશ્નો સાંભળી પ્રશ્નોનું ઝડપી અને યોગ્ય નિરાકરણ કરાશે તેવું જણાવ્યું હતું. જિલ્લાના ૫૨ જેટલા અરજદારોએ વિવિધ સમસ્યાઓ બાબતે મંત્રીશ્રી સમક્ષ રજૂઆત કરી હતી.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, લોકોએ પોતાના પ્રશ્નો માટે ગાંધીનગર સુધી આવવું ન પડે તે માટે મોરબી જિલ્લાના ૫૨(બાવન) જેટલા અરજદારો દ્વારા વિવિધ પ્રશ્નો એ અમારી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. આ પ્રશ્નો અન્વયે મહદ અંશે પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવ્યું છે. જ્યારે નીતિવિષયક પ્રશ્નો બાબતે કાર્યવાહી ઝડપી હાથ ધરી સમય મર્યાદામાં યોગ્ય નિકાલ કરવામાં આવશે.
આ તકે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી હંસાબેન પારેઘી, ધારાસભ્ય સર્વશ્રી કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, જીતુભાઈ સોમાણી, રેન્જ આઈજીપીશ્રી અશોકકુમાર યાદવ, જિલ્લા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરી, મોરબી મહાનગરપાલિકાના કમિશ્નરશ્રી સ્વપ્નિલ ખરે, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રી હિરાભાઈ ટમારીયા, જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેનશ્રી પ્રવિણભાઈ સોનગ્રા સહિત જિલ્લાના પદાધિકારીશ્રીઓ અને વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

