
જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા ટેટોડા જલીયાણ ગૌમાતા હોસ્પિટલ નિર્માણ હેતુ રૂપિયા 20 લાખ અર્પણ કરાયા
ટેટોડા રાજારામ ગૌધામ ખાતે અંદાજે આઠ કરોડના ખર્ચે બિમાર ગૌમાતાઓ માટે જલીયાણ ગૌમાતા હોસ્પિટલનું નિર્માણ પૂરજોશમાં થઈ રહેલ છે.જાન્યુઆરી 2026 માં આ હોસ્પિટલનું રંગેચંગે ઉદઘાટન પણ થનાર છે.જલીયાણ ગૌમાતા હોસ્પિટલ નિર્માણ હેતુ જય જલારામ ટ્રસ્ટ ડીસા તેમજ જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા શ્રાવણ માસમાં જલારામ મંદિર ખાતે પૂજ્ય પ્રજ્ઞાપુત્રી પ્રફુલ્લાબેન ઠક્કરના વ્યાસાસને દિવ્ય ભાગવતકથાનું ભવ્યાતિભવ્ય દિવ્યાતિદિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
દાતાઓના સહકારથી આ કથાના માધ્યમથી થયેલ આવકમાંથી રૂપિયા 20 લાખ ગત ગુરુવારે મુકેશભાઈ શંભુલાલ ગોકલાણી પરિવારના નિવાસસ્થાને પૂજ્ય જલારામ બાપાના ભજનમાં ટેટોડાના પૂજ્ય રામરતનજી બાપુને અર્પણ કરવામાં આવ્યા હતા.શ્રીમદ ભાગવતકથાના સક્રિય કાર્યકરો ભગવાનભાઈ બંધુ, શશીકાંતભાઈ ડી ઠક્કર, કમલેશભાઈ રાચ્છ,અમીતભાઈ પુરોહિત, કનુભાઈ તૃપ્તિવાળા, દેવચંદભાઈ એન ઠક્કર, કલ્પેશભાઈ -લાલાભાઈ, તારાચંદભાઇ મજેઠીયા,હિતેશભાઈ સોનપાલ, કનુભાઈ નાની ચંદુરવાળા, નટુભાઇ લીબાચીયા, સંજયભાઈ બારોટ, મહેશભાઈ ગણાત્રા, વિપુલભાઈ ગોહિલ, દીલીપભાઇ રતાણી,ડો.જગદીશભાઈ ઠક્કર સહિત સૌએ સાથે મળીને શ્રાધ્ધના પવિત્ર દિવસોમાં ગૌસેવા અર્પણ કરતાં આનંદનો માહોલ સર્જાયો હતો.આ દિવ્ય અવસરે માતૃશક્તિ સમાન બહેનો પણ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.
દેવદીવાળી પછીના રવિવારે ટેટોડા ગૌશાળા ખાતે નવા વર્ષના ગૌમાતાના આશીર્વાદ માટે પૂજ્ય જલારામ બાપાનાં ભજન રાખવામાં આવશે જેમાં ડીસા,થરા, શિહોરી, રાધનપુર,ધાનેરા,ભીલડી, પાલનપુર,પાટણ,ભાભર, હારિજ, દિયોદર, સિધ્ધપુર, મહેસાણા એમ અનેક સ્થળોએથી જલારામ ભકતો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેનાર છે.
અંદાજે છ હજાર ગૌમાતાઓ ધરાવતી ટેટોડા ગૌશાળા અત્યારે વૃંદાવન ધામ સમાન બની જતાં અનેક દર્શનાર્થીઓ ગૌશાળામાં પધારી સહકાર આપી રહેલ છે.
