
ટંકારા: સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે સરદારબાગ અને સ્ટેચ્યુ નિર્માણની જાહેરાત
(*નૈમિષ સેજપાલ દ્વારા*)ટંકારા, તા. 31/10/2025
ભારતના એકતા પુરુષ, લોહ પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે આજે ટંકારા તાલુકામાં એક મહત્વપૂર્ણ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. પટેલ સમાજ એસોસિયેશન ટંકારા દ્વારા ટંકારા લક્ષ્મીનારાયણ સોસાયટી ખાતે આવેલ સાર્વજનિક પ્લોટ (પાણીના ટાંકા સામે, ટંકારા–લતીપર હાઇવે) પર સરદાર સાહેબનું ભવ્ય સ્ટેચ્યુ તથા સુંદર “સરદારબાગ” બનાવવાનું નિર્ધારિત કરવામાં આવ્યું છે.
આ સંદર્ભે ટૂંક સમયમાં ભૂમિપૂજન સાથે “ખાત મુહૂર્ત” નું આયોજન કરવામાં આવશે. આશરે ₹20 લાખના ખર્ચે આ પ્રોજેક્ટ પૂર્ણ થશે અને ટંકારા શહેરને એક મહત્વનું જાહેર બગીચો તથા પ્રેરણાત્મક સ્મારક મળશે.
પટેલ સમાજ એસોસિયેશન ટંકારા અનેક વર્ષોથી સમાજ સેવા માટે અવિરત કાર્યરત છે. ખાસ કરીને ફ્રી સબવાહિની સેવા દ્વારા મોરબી જિલ્લામાં અનેક પરિવારોને લાભ મળ્યો છે, જે સમાજની કલ્યાણશીલ ભાવનાનું પ્રતિક છે.
ટંકારા શહેરમાં જાહેર બગીચાનો અભાવ હોવાથી આ આયોજનનો સ્થાનિક નાગરિકો દ્વારા હાર્દિક સ્વાગત કરવામાં આવી રહ્યું છે. સરદાર સાહેબના આદર્શોને અનુસરતાં સમાજ વિકાસ માટેનું આ કાર્ય યુવા પેઢી માટે પ્રેરણાસ્ત્રોત બનશે.


