
ડીસાના લોકપ્રિય સર્જન ડોક્ટર સી.કે.પટેલ 75 વર્ષના થતાં ઉજવાનાર અમૃત મહોત્સવ
અનેક સેવાભાવી સંસ્થાઓ સાથે સંકળાયેલા ખૂબ જ લોકપ્રિય સર્જન ડોક્ટર સી.કે.પટેલ આગામી તારીખ 25-6-2026 ના રોજ તેમની તંદુરસ્ત જિંદગીનાં 75 વર્ષ પૂર્ણ કરી રહેલ છે.
પ્રેરણાદાયી તબીબી સેવા,સરળ સ્વભાવ, સેવાકીય પ્રવૃતિઓ,સચોટ નિદાન,સદાય ખુશમિજાજ વ્યક્તિત્વ, રાષ્ટ્રવાદી જીવન, ડીસા નગરના આજીવન હિતેચ્છુ, દર્દીઓનો અપાર સ્નેહ પામનાર,ગરીબ દર્દીઓના હમદર્દી, પર્યાવરણપ્રેમી, સમાજપ્રેમી, ધર્મપ્રેમી, શિક્ષણપ્રેમી એમ અનેક ઉજળાં પાસાંથી પોતાના જીવનને સુગંધિત અને પ્રેરણાદાયી બનાવનાર ડોક્ટર સી.કે.પટેલના અમૃત મહોત્સવ નિમિત્તે એક વિશેષ ગ્રંથ બની રહેલ છે.આ ગ્રંથનું સંપાદન જાણીતા સાહિત્યકાર કનુભાઈ આચાર્ય તેમજ સહસંપાદન ભગવાનભાઈ બંધુ કરનાર છે.
સમગ્ર ગ્રંથના સુવ્યવસ્થિત સંકલન તેમજ સંપાદન માટે સંસ્કાર મંડળ ડીસાના પ્રમુખ ડો.અજયભાઈ જોષી,મંત્રી હિતેશભાઈ અવસ્થી, લાયન્સ કલબ ડીસાના પ્રમુખ મિતુલભાઈ વેદલીયા, પૂર્વ પ્રમુખ હિતેશભાઈ શાહ -વકીલ,બનાસ સાહિત્ય કલા સંઘના પ્રમુખ કનુભાઈ આચાર્ય, મહામંત્રી ભગવાનભાઈ બંધુ તેમજ દીપકભાઈ દવે સહિત સૌ નિષ્ઠાપૂર્વક પ્રયત્નો કરી રહેલ છે.ડો.સી.કે.પટેલથી સંપૂર્ણ પરિચિત હોય તેવા અંદાજે 101 જેટલા મહાનુભાવો આ ગ્રંથમાં પોતાના વિચારો પ્રગટ કરનાર છે.
અમૃત મહોત્સવ ઉજવણી માટે ડીસા નગરની 151 જેટલી વિવિધ ક્ષેત્રોની સંસ્થાઓનો સંપર્ક કરી અંદાજે 2100 જેટલા નગરજનોને આ સત્કાર્યમાં સામેલ કરવામાં આવશે.
