
મોરબી: તા ૭ મોરબીના બેલા-ભરતનગર રોડ પર આવેલા સુપ્રસિદ્ધ ખોખરા હનુમાનજી મંદિર ખાતે આગામી દિવસોમાં ભવ્ય નેચરોપેથી શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. મહામંડલેશ્વર કનકેશ્વરી દેવીજી દ્વારા સંસ્થાપિત આ ધામમાં પૂજ્ય મા દ્વારા સંચાલિત કેશવ કાયાકલ્પ કેન્દ્ર દ્વારા સાત દિવસીય નિઃશુલ્ક શિબિર યોજાશે.
આ શિબિરમાં જાણીતા ગ્રીન ડો. રાજેશ પટેલ દ્વારા લોકોને માર્ગદર્શન આપવામાં આવશે. તારીખ ૯-૪-૨૦૨૬ થી ૧૫-૪-૨૦૨૬ સુધી ચાલનારી આ શિબિરમાં નવી ભોજન પ્રથા (Natural Diet System) વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવશે. શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને દવાઓ વગર કુદરતી રીતે સ્વાસ્થ્ય સુધારવા, વજન ઘટાડવા અને શરીરને ડિટોક્સ કરવા અંગે જાગૃત કરવાનો છે.
શિબિરમાં સવારે ૬ થી ૮ યોગ અને પ્રાણાયામ કરાવવામાં આવશે. ત્યારબાદ ૯ થી ૧૨ તજજ્ઞોનું પ્રવચન યોજાશે. બપોરે ૧૨:૧૫ વાગ્યે ગ્રીન જ્યુસ આપવામાં /આવશે, ત્યારબાદ ફરી ૧૨:૩૦ થી ૧:૩૦ પ્રવચન અને ૧:૩૦ વાગ્યાથી ફળાહાર અને આરામનો સમય રહેશે. બપોરે ૩:00 વાગ્યે પ્રવચન, સાંજે ૫:00 વાગ્યે રસાહાર અને ૫:૧૫ થી પ્રશ્નોત્તરી સત્ર યોજાશે. રાત્રે ૭:૦૦ વાગ્યે ફળાહાર બાદ ૭:૩૦ થી રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે અને ૯:૩૦ વાગ્યે શયનનો સમય નિર્ધારિત કરાયો છે.
સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માંગતા તમામ લોકો આ શિબિરમાં જોડાઈ શકે છે. તેમજ વજન ઘટાડવા કે ડિટોક્સ કરવા માંગતા લોકોને શિબિરનો લાભમળશે. તેમજ ખાસ કરીને થાઈરોઈડ કે ડાયાબિટીસ જેવી તકલીફ ધરાવતા લોકોએ પોતાના રિપોર્ટ સાથે રાખવાના રહેશે અને કોઈ અસાધ્ય બીમારી હોય તો તેની વિગત અગાઉથી મોકલી આપવાની રહેશે.
પ્રાકૃતિક આહાર અને જીવનશૈલી દ્વારા તંદુરસ્તી મેળવવા માટે મોરબીની જનતાને આ સોનેરી તકનો લાભ લેવા અનુરોધ કરાયો છે.
