*દિલ્હી ખાતે આયોજિત ‘જલ મહોત્સવ-૨૦૨૬’ માં મોરબીના લક્ષ્મીવાસને સુદ્રઢ પાણી વિતરણ વ્યવસ્થા માટે મળ્યું ગૌરવવંતુ સન્માન*
*જળ વ્યવસ્થાપનમાં મોરબીનું લક્ષ્મીવાસ ગામ દેશભરમાં ઝળક્યું: રાષ્ટ્રપતિશ્રી દ્રોપદી મુર્મુજીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય કક્ષાનું બહુમાન એનાયત*
*પાણી પુરવઠા વિભાગ, વાસમો અને GWIL ના સુચારુ સંકલન થકી મોરબી જિલ્લાને રાષ્ટ્રીય ફલક પર મળી વિશિષ્ટ ઓળખ*
*મોરબી: ૧૮ મે, ૨૦૨૬*
‘જળ એ જ જીવન’ ના મંત્રને સાર્થક કરતા મોરબી જિલ્લાના લક્ષ્મીવાસ ગામે જળ વ્યવસ્થાપન અને વિતરણના ક્ષેત્રમાં રાષ્ટ્રીય સ્તરે સુવર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. નવી દિલ્હી ખાતે આયોજિત‘જલ મહોત્સવ-૨૦૨૬’ દરમિયાન મોરબીના લક્ષ્મીવાસ ગામને તેની આધુનિક અને સુઆયોજિત પાણી વિતરણ વ્યવસ્થા માટે રાષ્ટ્રપતિશ્રી દ્રોપદી મુર્મુજીના ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય કક્ષાનું સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યું છે. આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી. આર. પાટીલ પણ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા.
*રાજ્યભરમાં અગ્રેસર વિતરણ માળખું:*
લક્ષ્મીવાસ ગામે પાણી વિતરણના સુદ્રઢ માળખા માટે સમગ્ર ગુજરાતમાં અગ્રેસર રહીને અન્યો માટે ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગામના દરેક ઘર સુધી શુદ્ધ અને પૂરતા પ્રમાણમાં પાણી પહોંચાડવા માટે કરવામાં આવેલું સુઆયોજન અને લોકભાગીદારીની રાષ્ટ્રીય સ્તરે સરાહના કરવામાં આવી છે. જળ સંચયની સાથે સાથે જળ વિતરણમાં થતો બગાડ અટકાવવા અને ટેકનોલોજીના માધ્યમથી વ્યવસ્થાપન કરવાના અભિગમે આ ગામને દેશના શ્રેષ્ઠ ગામોની યાદીમાં સ્થાન અપાવ્યું છે.
*વિભાગીય સંકલન:*
સબંધિત વિભાગો વચ્ચેના આંતરિક સંકલન વિશે મોરબી પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઈજનેરશ્રી મહેશ દામાએ જણાવ્યું હતું કે, મોરબી જિલ્લાને મળેલું આ રાષ્ટ્રીય બહુમાન રાજ્ય સરકારના ત્રણ મહત્વના વિભાગોના પરસ્પર સંકલનનું ઉત્કૃષ્ટ પરિણામ છે. મોરબી પાણી પુરવઠા વિભાગ, વાસમો (WASMO) અને ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (GWIL) એમ ત્રણેય વિભાગોએ ખભેખભા મિલાવીને કરેલી કામગીરીના કારણે જ છેવાડાના માનવી સુધી નળ વાટે જળ પહોંચાડવાનું લક્ષ્ય સિદ્ધ થઈ શક્યું છે. વાસમો દ્વારા લોકજાગૃતિ અને આંતરિક માળખું, GWIL દ્વારા બલ્ક પાઇપલાઇન નેટવર્ક અને પાણી પુરવઠા વિભાગના ટેકનિકલ માર્ગદર્શનના ત્રિવેણી સંગમે લક્ષ્મીવાસને આ ગૌરવ અપાવ્યું છે.
આ ઐતિહાસિક સિદ્ધિ બદલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આનંદની લાગણી વ્યક્ત કરવામાં આવી છે. લક્ષ્મીવાસ ગામની આ સફળતા માત્ર જિલ્લા માટે જ નહીં, પરંતુ સમગ્ર રાજ્ય માટે પ્રેરણારૂપ બની છે. આ સન્માન દર્શાવે છે કે જો વહીવટી તંત્રનું સુચારુ આયોજન અને ગ્રામજનોનો સહયોગ હોય તો ગ્રામ્ય સ્તરે પણ વૈશ્વિક કક્ષાનું માળખું તૈયાર કરી શકાય છે.

