
કોવીડ-૧૯ વેકસીન તૈયાર થયા બાદ લોકોને વેકસીન આપવા માટે સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ વિગતો તૈયાર કરવા માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરાગ ભગદેવના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી ખાતે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. કતીરા તેમજ ડૉ. વારવડીયાએ બેઠક સંચાલન કરતા જણાવ્યું હતું કે કોરોના-૧૯ વેકસીન તૈયાર થયા બાદ તેને આપવા માટે આરોગ્ય કર્મચારીઓ તથા અન્ય કર્મચારીઓની વિગતો તૈયાર થઈ ગયેલ છે. પરંતુ સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ અગ્રતા ક્રમે ૫૦ વર્ષથી વધુ ઉમરની વ્યક્તિઓ અને ૫૦ વર્ષની નાની ઉમરના પરંતુ અન્ય બીમારી હોય તો તેની વિગતો તૈયાર કરવાની કામગીરી માટે આવતી કાલથી મોરબી જિલ્લામાં સર્વે કરવામાં આવી રહ્યો છે. સર્વેની ટીમને વ્યક્તિનું નામ, જન્મ તારીખ, મોબાઈલ નંબર અન્ય બીમારીની સચોટ વિગતો સર્વેની ટીમોને આપવાની રહેશે. જેથી કરીને વ્યક્તિના મોબાઈલ નંબર ઉપર મેસેજ મોકલી કઈ જગ્યાએ વેકસીન લેવા આવવું તેની માહિતી મેળવી શકશે.
વધુમાં ડોકટરશ્રીઓએ જણાવ્યું કે જેની માહિતી સર્વેની ટીમને આપવામાં આવશે અને જેની નોંધણી થયેલ હશે તેનેજ વેકસીન આપવામાં આવશે માટે સર્વેની ટીમને સાચી માહિતી આપી નોંધણી કરાવી લેવા અપીલ કરવામાં આવેલ છે.
આ બેઠકમાં નિવાસી અધિક કલેકટરશ્રી કેતન જોષી, મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ. કતીરા, કોવીડ-૧૯ નોડલ અધિકારીશ્રી ડૉ.વારેવડીયા, રોટરી તેમજ લાયન્સ ક્લબના પ્રમુખશ્રીઓ, જિલ્લા રમતગમત અધિકારીશ્રી બી.એસ.નાકીયા, આઈ.સી.ડી.એસ.ના એમ.એચ.ઉપાધ્યાય ઉપસ્થિત રહ્યા હતા.
