દુનિયામાં ઘણા સ્થળો ઉપર શરીરનું તાપમાન માપવા અને તાવ ચકાસવા માટે ઇન્ફ્રારેડ થર્મોમીટર અને સ્કેનરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જાણકારોના મતે આ સાધનો દ્વારા નક્કર અને ચોક્કસ રીતે શરીરનું તાપમાન માપી શકાતું નથી. માત્ર કપાળ ઉપર ધરીને કે પછી હાથ ઉપર ધરીને તાપમાન માપવામાં નક્કર પરિણામો મળતા નથી. સંશોધકોએ જણાવ્યું કે, મોટાભાગે બેન્કોમાં, દુકાનોમાં, રેસ્ટોરાં, હોટેલ્સમાં આવા સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે પણ તેનાથી સચોટ પરિણામ મળતા નથી. ખાસ કરીને કોરોનાના મુખ્ય લક્ષણ ગણાતા તાવને પકડી શકાતો નથી. જ્હોન હોપકિન્સ યુનિ.ના પ્રોફેસર ડો. વિલિયમ રાઇટ તથા યુનિવર્સિટી ઓફ મેરિલેન્ડ સ્કૂલ ઓફ મેડિસિનના ડો. ફિલિપ મેકોવિકે જણાવ્યું કે આ સાધનોની એક્યૂરેસી ખૂબ જ ઓછી હોય છે. કોરોનાનો વ્યાપ વધતો રોકવામાં કે કોરોના થયો છે કે નહીં તે જાણવામાં આ સાધનો કામ લાગતા નથી.
સાધનો મહામારીના શરૂઆતના તબક્કાના છે
ઓપન ફોરમ ઇન્ફેક્ટિયસ ડિસીઝમાં વ્હાય ટેમ્પ્રેચર સ્ક્રીનિંગ ફોર કોવિડ-૧૯ વિથ નોન કોન્ટેક્ટ ઇન્ફ્રારેડ થર્મોમીટર ડઝન્ટ વર્ક ટાઇટલ હેઠળ એક લેખ છપાયો હતો જેમાં આ બાબતે સંશોધન રજૂ કરવામાં આવ્યું હતું. તેમાં જણાવાયું હતું કે, આ સાધનો દ્વારા મળતો ડેટા સંતોષજનક નથી. તેમના મતે મહામારીની શરૂઆત થઈ તે સમયે આ સાધન ચલણમાં આવ્યું હતું. આ સાધન દ્વારા શરીરની ગરમી માપી શકાય છે પણ કોરોનાના લક્ષણો ધરાવતો તાવ, કફ, ખાંસી જેવી બાબતો જાણી શકાતી નથી. કોઈપણ વ્યક્તિ ગરમીમાં રહે તો સ્વાભાવિક રીતે તેના શરીરનું તાપમાન ૩૮ ડિગ્રી સેલ્સિયસ કરતા વધારે આવી શકે છે. મેડિકલમાં ૩૭.૮ ડિગ્રીથી ઉપરની સ્થિતિને તાવ ગણવામાં આવે છે. તેના કારણે આ સાધન દ્વારા માપવામાં આવતી શરીરની ગરમી ખરેખર તાવ જ છે કે નહીં તે નક્કી નથી કરી શકાતું.
શરીરના કોર ટેમ્પ્રેચરને માપી શકાતું નથી
ડો. રાઇટે જણાવ્યું કે, આ સાધનો દ્વારા વ્યક્તિ પ્રમાણે, સ્થળ પ્રમાણે, વાતાવરણ પ્રમાણે અને આ સાધનની વિવિધતાના આધારે પરિણામો જુદા જુદા જોવા મળે છે. તેના કારણે જ તેની એક્યૂરેસીને નક્કી ગણી શકાય નહીં. વ્યક્તિનું જે ખરેખર બોડી ટેમ્પ્રેચર ગણવામાં આવે છે અથવા તો જેને કોર ટેમ્પ્રેચર કહે છે તેમાં લોહીની અંદર રહેલી ગરણીને માપવામાં આવે છે. તેના આધારે તેના તાવનું પ્રમાણ નક્કી થાય છે. સ્ક્રીનિંગ ટેસ્ટમાં આમ થવું અશક્ય છે. તેના કારણે નોન કોન્ટેક્ટ સેન્સર દ્વારા કોરોનાની સાચી માહિતી મળતી નથી.
