ભારત સરકારના બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રાલયે દેશમાં રો-રો, રો-પેક્સ અને ફેરી સર્વિસ માટે ૧૩ બંદરોના નવા રૂટ સોમવારે જાહેર કર્યા હતા. જેમા ગુજરાતના ૯ રૂટનો સમાવેશ થાય છે. આ વિભાગના મંત્રી મનસુખ માંડવિયાએ જળમાર્ગે પરિવહન સેવાઓ શરૂ થવાથી રેલ અને રોડ નેટવર્ક ઉપરનું ભારણ ઘટશે અને પ્રવાસન પ્રવૃતિઓ વધશે તેમ જણાવ્યુ હતુ.
ભારત સરકારે તાજેતરમાં જ હઝીરાથી ઘોઘા વચ્ચે રોપેક્સ ફેરી સર્વિસ શરૂ કરીને તેનો સફળતા પૂર્વક અમલ કર્યો છે. આ સેવાથી ઘોઘા- હઝીરા વચ્ચે ૩૭૦ કિલોમીટરનું અંતર ઘટીને ૯૦ કિલોમીટર થયુ છે. પ્રવાસનનો સમય ૧૦થી ૧૨ કલાક ઘટીને આશરે પાંચેક કલાકનો થયો છે.
આ પ્રયોગ બાદ સાગરમાલા કાર્યક્રમ હેઠળ ભારતના ૭૫૦૦ કિલોમીટર દરિયાકાંઠાનો ઉપયોગ કરીને બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રાલયે ગુજરાતના હઝીરા, ઓખા, સોમનાથ મંદિર, પીપાવાવ, દિવ, મુંબઈ-JNPT, જામનગર, કોચી, ઘોઘા, ગોવા, મુન્દ્રા અને માંડવી જેવા સ્થાનિક બંદરોની પસંદગી કરી છે.
એટલુ જ નહી, બાંગ્લાદેશના ચટ્ટોગ્રામ, પૂર્વ આફ્રિકાના સેશીલ્સ તેમજ મડાગાસ્કર અને શ્રીલંકાના જાફના એમ ચાર આંતરરાષ્ટ્રીય સ્થળોને જોડવા ભારતીય મુખ્ય દરિયાઈ શહેરોમાંથી ૬ આંતરરાષ્ટ્રીય જળમાર્ગની પણ પસંદગી કરવામાં આવી છે. જેના દ્વારા આંતરીક જળમાર્દ દ્વારા ફેરી સેવાઓ શરૂ થશે.
જળમાર્ગો પર વ્યાવસાયિક મોડલની સફળતા માટે બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રાલય ખાનગી ઓપરેટરને આ રૂટોની પસંદગી કરવા પ્રોત્સાહન આપે છે. જેથી દરરોજ આવાગમન કરતા નાગરીકો, પ્રવાસીઓ અને કાર્ગો પરિવહન માટે લાભદાયી થતા રેલ અને રોડ પરિવહનથી પર્યાવરણને અનુકૂળ પધ્ધતિ તરફ અગ્રેસર થઈને કાર્બનનું ઉત્સર્જન ઘટાડવામાં મદદરૂપ પણ થશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં રોજગોરીની તકોનું સર્જન પણ થશે. સમય અને ખર્ચમાં પણ ઘટાડો થશે.
